- ગોરવા અને છાણીના વ્યાપારી વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરી
- આરોગ્યપ્રદ ન હોય તેવા જથ્થાને વૈજ્ઞાનિક પદ્ધતિથી નષ્ટ કરી દીધો હતો, જેથી તે ફરીથી બજારમાં ન પહોંચી શકે
ગુજરાત સરકારે જાહેર આરોગ્યની સુરક્ષા અને ગ્રાહકોને ગુણવત્તાસભર ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી એનાલોગ ખાદ્ય સામગ્રી પર કડક પ્રતિબંધ લગાવ્યો છે. સરકારના મહત્વપૂર્ણ નિર્ણય બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગે સમગ્ર શહેરમાં સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કર્યું છે. આજે 7 ઓગસ્ટ સતત બીજા દિવસે બનાવટી દૂધ ઉત્પાદનો જેવા કે એનાલોગ ચીઝ, પનીર અને બટરના ગેરકાયદે વેચાણ તથા સંગ્રહ પર અંકુશ મેળવવા માટે તંત્રે કમર કસી છે.
શહેરના ચારેય ઝોનમાં સુચારુ અને ઝડપી કામગીરી હાથ ધરી શકાય તે માટે ફૂડ સેફ્ટી વિભાગે ચાર અલગ-અલગ વિશેષ ટીમોની રચના કરી છે. આ ટીમો વિવિધ વિસ્તારોમાં સ્થિત હોલસેલ વેપારીઓ, ડિસ્ટ્રીબ્યુટર્સ અને છૂટક વિક્રેતાઓને ત્યાં અચાનક દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. તપાસની આ ઝુંબેશ દરમિયાન ગઈકાલે વિવિધ સંગ્રહસ્થાનોમાંથી આશરે 450 કિલો જેટલો એનાલોગ પદાર્થોનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી અધિકારીઓએ આ આરોગ્યપ્રદ ન હોય તેવા જથ્થાને સ્થળ પર જ વૈજ્ઞાનિક પદ્ધતિથી નષ્ટ કરી દીધો હતો, જેથી તે ફરીથી બજારમાં ન પહોંચી શકે.
આ કડક કાર્યવાહીની સાથે જ ફૂડ સેફ્ટી વિભાગે એનાલોગ પ્રોડક્ટ્સના તમામ વેપારીઓ અને વિતરણકર્તાઓને સ્પષ્ટ અને આકરી ચેતવણી આપી છે. અધિકારીઓએ આદેશ આપ્યો છે કે ભવિષ્યમાં કોઈપણ વેપારી આ પ્રકારની એનાલોગ વસ્તુઓનું વેચાણ, સંગ્રહ કે પરિવહન કરશે તો તેની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના સખત કાયદાકીય નિયમો હેઠળ આકરી કાર્યવાહી કરશે. જેમાં ભારે દંડથી લઈને લાયસન્સ રદ કરવા સુધીની જોગવાઈઓનો સમાવેશ થાય છે.
ગોરવા અને છાણીના વ્યાપારી વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણીતા વિમલ બ્રાન્ડના ડિસ્ટ્રીબ્યુટર્સના ગોડાઉન અને સંકુલોમાં પણ ટીમોએ બારીક તપાસ કરી હતી. જોકે, આ સ્થળો પરથી તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની એનાલોગ વસ્તુઓ કે મિલાવટી સામગ્રી મળી નથી. તંત્રે સ્પષ્ટ કર્યું છે કે, આગામી દિવસોમાં પણ શહેરના તમામ ઝોનમાં આ પ્રકારનું સરપ્રાઈઝ ચેકિંગ સતત ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કોઈપણ પ્રકારની સાફ-સૂફી વગર કડક પગલાં લેવામાં આવશે.
મનપાના ફૂડ સેફ્ટી ઑફિસર પી. એમ. ભાવસારે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર તરફથી એનાલોગ પનીરને બંધ કરાયું છે, તેના આધારિત ગઈકાલે અને આજે વડોદરાના ચારેય ઝોનમાં ચાર ટીમ બનાવીને કામગીરી હાથ ધરી છે. ગઈકાલે ઈન્સ્પેક્શન દરમિયાન આપણને લગભગ 450 કિલો જેવો એનાલોગ જથ્થો મળ્યો હતો. એ એપ્રોક્સિમેટલી લગભગ દોઢ લાખ સુધીનો માલ હતો. એ તમામે તમામ માલ અમે સ્થળ પર ડિસ્ટ્રોય કરાવ્યો છે. તેના ડિસ્ટ્રીબ્યુટરને તાકીદ કરવામાં આવી છે કે ફરીથી આવી વસ્તુ તમારે ત્યાં જોવા ન મળે અથવા તો તેના અંતર્ગત FSSAIની સખત કાર્યવાહી કરાશે.


