- રેલવે એસોસિએશને જનરલ મેનેજર અને વડોદરા ડીઆરએમને રજૂઆત કરી
- સુરત-ભરૂચ-મુંબઈ જતા વિદ્યાર્થીઓ અને વેપારીઓને સુવિધા મળશે, પાદરા રોડ-માંજલપુર સહિતના વિસ્તારોને ફાયદો થશે
પશ્વિમ રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશને પશ્વિમ રેલવેના જનરલ મેનેજર તથા વડોદરા ડીઆરએમને લેખિત રજૂઆત કરી વિશ્વામિત્રી સ્ટેશન પર ગુજરાત એક્સપ્રેસ, ગાંધીધામ-બાંદ્રા એક્સપ્રેસ અને ગુજરાત ક્વીનને બે મિનિટનું સ્ટોપેજ આપવા માગ કરી છે.
એસોસિએશના પ્રમુખે કરેલી રજૂઆત મુજબ, વિશ્વામિત્રી રેલવે સ્ટેશન ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં આવેલું છે અને હાલ સ્ટેશનનો પુનઃવિકાસ કરાયો છે. જોકે હાલમાં અહીં મર્યાદિત ટ્રેનો જ ઊભી રહેતી હોવાથી મકરપુરા, તરસાલી, માંજલપુર, અટલાદરા, પાદરા રોડ સહિતના વિસ્તારોના મુસાફરોને વડોદરા રેલવે સ્ટેશન સુધી જવું પડે છે.
સ્ટોપેજ મળવાથી મુસાફરોનો સમય અને ઓટો-ટેક્સી પાછળ થતો ખર્ચ બચશે તેમજ વડોદરા જંકશન પર મુસાફરોની ભીડ, વાહનવ્યવહાર અને પાર્કિંગનું ભારણ ઘટશે. સુરત, ભરૃચ અને મુંબઈ તરફ રોજિંદી અવરજવર કરતા વિદ્યાર્થીઓ તથા વેપારીઓને આ સુવિધાથી લાભ થશે એમ રજૂઆતમાં જણાવાયું છે.


