- વડોદરામાં ગઈકાલથી અત્યાર સુધીમાં અંદાજે સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો
- ભારે વરસાદના કારણે શહેરમાં 19 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હોવાની માહિતી મળી
વડોદરામાં ગત મોડી રાત્રે સતત વરસેલા ભારે વરસાદ વચ્ચે બરાનપુરા વિસ્તારમાં આવેલી ચાર માળની ઇમારતની ચોથા માળની બાલ્કનીનો ભાગ અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ગાજરાવાડી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ત્રણ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની કે ઇજા થઈ ન હતી.

મળતી માહિતી મુજબ, શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે બરાનપુરા વિસ્તારમાં આવેલી એક જર્જરિત ચાર માળની ઇમારતની ચોથા માળની બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો હતો. બાલ્કની ધરાશાયી થતાં આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં ગાજરાવાડી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મીઓએ ઇમારતની સ્થિતિનું નિરીક્ષણ કરી અંદર ફસાયેલા ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સમયસર હાથ ધરાયેલી કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની કે ઇજાની ઘટના નોંધાઈ નથી. જોકે સતત વરસાદ અને જૂની ઇમારતોની નબળી હાલતને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. ઘટનાના પગલે તંત્ર દ્વારા ઇમારતની સલામતી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ગઈકાલથી અત્યાર સુધીમાં અંદાજે સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે શહેરમાં 19 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હોવાની માહિતી છે. ઉપરાંત શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં મકાનની બાલ્કની અને દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે, જેના કારણે જર્જરિત મકાનો અંગે તંત્રની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે.
આ ઘટના અંગે સૈનિક ચિરાગસિંહ પરમારે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ અમે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અહીંયા આવ્યા ત્યારે બાલ્કનીનો કેટલીક ભાગ તૂટેલી હાલતમાં હતો. આ બિલ્ડિંગમાં ત્રણ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. આ બિલ્ડિંગનું વીજ કનેક્શન કાપી નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી હતી.


