- સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, અમે પાણીમાં ડૂબ્યા પણ હવે નેતાઓ પણ પાણીમાં ડૂબો એમ કરીને તેઓના ફોટા પાણીમાં વહેવડાવી દીધા
- જય અંબે સોસાયટી સહિતની આસપાસની અન્ય સોસાયટીઓ જળબંબાકાર, શરૂઆતમાં જ આ સ્થિતિ થતા લોકોમાં રોષ, ઘરોમાં પાણી ઘૂસી જવાની આશંકાથી લોકો ચિંતાતુર
વડોદરા શહેરમાં બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જેના કારણે લોકો ભારે પરેશાન થઇ ઉઠ્યાં છે. શહેરના સયાજીગંજ વિધાનસભામાં આવેલા ગોરવા વિસ્તારની જય અંબે સોસાયટીમાં પાણી ભરાતા લોકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સ્થાનિક રહીશોએ નેતાઓના ફોટા પાણીમાં ડુબાડી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
વડોદરા શહેરમાં મોડી રાતથી સવાર સુધીમાં ધોધમાર 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને પગલે સમગ્ર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારમાં આવેલા ગોરવા વોર્ડ નંબર 8ની જય અંબે સોસાયટી સહિતની આસપાસની અન્ય સોસાયટીઓ જળબંબાકાર થઈ ગઈ હતી.
માત્ર બે ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી જતાં આક્રોશિત બનેલા સ્થાનિક લોકોએ એક અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો, જેમાં તેમણે સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્યના ફોટાને રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીમાં ડુબાડીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
જય અંબે સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા 7 વર્ષથી વડોદરા કોર્પોરેશનની આ અણઘડ નીતિ અને પાણી ભરાવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા આ બાબતે કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો નથી અને માત્ર પોકળ આશ્વાસનો જ આપવામાં આવે છે. લોકોએ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, પાણીમાં ડૂબ્યા પણ હવે નેતાઓ પણ પાણીમાં ડૂબો એમ કરીને તેઓના ફોટા પાણીમાં વહેવડાવી દીધા હતા.
શહેરમાં હજુ તો વરસાદની શરૂઆત થઇ છે તેવામાં અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયું છે. ત્યારે હજુ તો ચોમાસાના 4 મહિના જેટલો સમય બાકી છે ત્યારે આગામી સમયમાં જો વધુ વરસાદ વરસે તો સ્થિતિ ગંભીર થઇ શકે છે. બીજી તરફ, વડોદરાના ઉંડેરા વિસ્તારમાં આવેલી પાયલ સોસાયટીમાં પણ મુશળધાર વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. સોસાયટીના મુખ્ય માર્ગોથી લઈને ઘરોની બહાર સુધી પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
ચોમાસાની શરૂઆતમાં જ જો આ પરિસ્થિતિ હોય તો આગામી સમયમાં ભારે વરસાદ દરમિયાન ઘરોમાં પાણી ઘૂસી જવાની આશંકાથી લોકો ચિંતાતુર બન્યા હતા. આ ભયના કારણે પાયલ સોસાયટીના કેટલાક જાગૃત રહીશોએ મોડી રાત્રે જ પોતાના ઘરોમાં વરસાદી પાણી પ્રવેસતું અટકાવવા માટે ઘરના મુખ્ય દરવાજાની બહાર ઈંટો અને સિમેન્ટની નાની પાળીઓ બનાવવાની ફરજ પડી હતી.


