નર્મદા કેનાલમાંથી આજવા સરોવરમાં પાણી ઠાલવતા સપાટી વધીને 207 ફૂટ પર પહોંચતા તંત્રને હાશકારો!!

જિલ્લામાં નોંધપાત્ર વરસાદ ન પડતાં જળાશયોના જળસ્તરમાં ચિંતાજનક ઘટાડો નોંધાયો

MailVadodara.com - Authorities-relieved-as-water-level-in-Ajwa-Lake-rises-to-207-feet-following-the-discharge-of-water-from-the-Narmada-Canal

જૂન મહિનો પૂર્ણ થવા છતાં જિલ્લામાં નોંધપાત્ર વરસાદ ન પડતાં જળાશયોના જળસ્તરમાં ચિંતાજનક ઘટાડો નોંધાયો હતો. શહેરના પૂર્વ વિસ્તારને પાણી પૂરું પાડતા આજવા સરોવરની સપાટી વર્ષ 2018 બાદ પ્રથમ વખત ઘટીને 205 ફૂટ સુધી પહોંચી હતી, જેના કારણે પીવાના પાણીના પુરવઠાને લઈને તંત્ર ચિંતિત બન્યું હતું.

આ સ્થિતિને પહોંચી વળવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) પાસેથી નર્મદાનું પાણી ખરીદવાનો નિર્ણય લીધો હતો. તેના અનુસંધાને 20 જૂનથી નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આગામી એક મહિના સુધી દરરોજ અંદાજે 300 એમએલડી પાણી છોડવામાં આવશે.

નર્મદાના પાણીની સતત આવકના પરિણામે આજવા સરોવરની સપાટીમાં વધારો નોંધાયો છે અને 205 ફૂટ સુધી ઘટેલું જળસ્તર હવે વધીને 207 ફૂટે પહોંચ્યું છે. સરોવરની સપાટીમાં વધારો થતાં શહેરના પાણી પુરવઠાને લઈને તંત્રને હાશકારો મળ્યો છે.

Share :

Leave a Comments