- બીજા બનાવમાં વારસિયા રિંગ રોડ પર પરાગરજ સોસાયટીમાં આવેલા બંધ મકાનમાંથી 1.40 લાખની મતા ચોરાઇ
ન્યુ સમા રોડ પર રહેતા નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજના બંધ મકાનમાંથી ચોર ત્રિપુટી ૧.૯૧ લાખની મતા ચોરી ગઇ હતી. જે અંગે ફતેગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ રાજકોટ રહેતા નિવૃત્ત જજ એમ.ડી. પરમારનું મકાન ન્યુ સમારોડની દીપક સોસાયટીમાં છે. તેઓ રાજકોટ રહેતા હોઇ વડોદરાનું ઘર બંધ હોય છે. તેમના બંધ મકાનને નિશાન બનાવી ચોર ટોળકી ચાંદીના દાગીના, રોકડા ૧.૭૦ લાખ અને સીસીટીવી ચોરી ગઇ હતી. સોસાયટીમાં ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજ જોતા ચોર ત્રિપુટી વહેલી સવારે પાંચ વાગ્યે બાઇક પર આવી હતી. ઘરનો નકૂચો તોડી૧.૯૧ લાખની મતા લઇ ચોર ત્રિપુટી ફરાર થઇ ગઇ હતી.
જ્યારે અન્ય એક કેસની વિગત એવી છે કે, વારસિયા રિંગ રોડ પર પરાગરજ સોસાયટીમાં રહેતા કિશનકુમાર સુભાષભાઇ પટેલ નેશનલ હાઇવેમાં પેટ્રોલિંગ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ગત ૩ જી તારીખે તેઓ મકાન બંધ કરીને પત્ની સાથે વતન આણંદ ગયા હતા. તે દરમિયાન ચોર ટોળકી ૧.૪૦ લાખની મતા લઇ ગઇ હતી. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


