- મહિલાને ગંભીર ઇજા થતા ચાર દિવસની સારવાર પછી મોત થતા કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
પાલેજથી સંબંધીના ઘરે લગ્ન પ્રસંગે આવેલી મહિલાનું કપુરાઇ બ્રિજ પાસે કારની ટક્કરે ગંભીર ઇજા થતા ચાર દિવસની સારવાર પછી મોત થતા કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના પાલેજ ગામે ડુંગળીપાર્કમાં રહેતા મંજુબેન રણછોડભાઇ વણજારા ગત ૨૮મી તારીખે વડોદરા ઘાઘરેટિયા ખાતે રહેતા સંબંધીના ઘરે લગ્ન પ્રસંગે ગયા હતા. બીજે દિવસે તેમનો પુત્ર રાહુલ વડોદરા એ.પી.એમ.સી. માર્કેટમાં શાકભાજી ખરીદવા જીપ લઇને આવ્યો હતો. માતાને પરત લેવા માટે તે અમદાવાદથી સુરત જતા હાઇવે પર કપુરાઇ બ્રિજ નજીક જીપ લઇને ઊભો હતો. તેની માતા રોડ ક્રોસ કરીને આવતી હતી. તે દરમિયાન એક કારચાલકે તેઓને ટક્કર મારતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ અને ત્યારબાદ વાઘોડિયા નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું.


