- 5 દિવસ પહેલા દંપતીને ટક્કર મારીને બાઇકચાલક ફરાર થઇ ગયો હતો
ડભોઇ રોડ સોમા તળાવથી કપુરાઇ ચોકડી તરફ જવાના રોડ પર પાંચ દિવસ અગાઉ થયેલા અકસ્માતમાં ઘાયલ દંપતી પૈકી પત્નીનું સારવાર દરમિયાન મોત થયું છે.
કપુરાઇ ચોકડી પાસે અક્ષર ટેનામેન્ટમાં રહેતા કાંતિભાઇ માનાભાઇ રવાડ તથા તેમના પત્ની શાંતાબેન (ઉં.વ.૬૫) ગત ૭ મી તારીખે મોપેડ લઇને ખોડિયારનગરમાં રહેતા તેમના દીકરાના ઘરેથી પોતાના ઘરે પરત આવતા હતા. તે દરમિયાન સોમા તળાવ ચાર રસ્તાથી કપુરાઇ તરફ જવાના રોડ પર એક બાઇક ચાલકે તેઓના મોપેડને પાછળથી ટક્કર મારી હતી. દંપતી રોડ પર પટકાયું હતું. શાંતાબેનને માથામાં ગંભીર ઇજા થતા તેઓ બેભાન થઇ ગયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન શાંતાબેનનું મોત થયું છે. કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ટક્કર મારીને ભાગી જનાર બાઇકચાલકની સામે ગુનો દાખલ કર્યો છે.


