- આ ટ્રેન બંને દિશાઓમાં મુસાફરી દરમિયાન આણંદ અને ઉમરેઠ સ્ટેશનો પર રોકાણ કરશે
હોળી અને ધુળેટીના પવિત્ર તહેવારો દરમિયાન ડાકોરના રણછોડરાય મંદિરે દર્શનાર્થીઓનો ભારે ધસારો જોવા મળતો હોય છે. યાત્રીઓની આ ભીડને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી આજે 03 માર્ચ અને આવતીકાલે 04 માર્ચ 2026ના રોજ વડોદરા અને ડાકોર વચ્ચે `પૂનમ સ્પેશિયલ ટ્રેન' દોડાવવામાં આવશે.
યાત્રીઓની સુવિધા માટે આ ટ્રેન બંને દિશાઓમાં મુસાફરી દરમિયાન આણંદ અને ઉમરેઠ સ્ટેશનો પર રોકાણ કરશે. આ સ્ટોપેજને કારણે આણંદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારના શ્રદ્ધાળુઓ પણ સરળતાથી ડાકોર દર્શન કરવા જઈ શકશે.
રેલવે પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટ્રેનના સંચાલન સમય, કોચની સંરચના અને અન્ય ટેકનિકલ માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. તહેવારોના સમયે ટ્રેન ટિકિટનું એડવાન્સ બુકિંગ કરાવી લેવું હિતાવહ છે જેથી છેલ્લી ઘડીની અસુવિધાથી બચી શકાય.
ટ્રેનનો સમય અને રૂટની વિગત
આ વિશેષ ટ્રેન સેવાનો લાભ લેવા ઈચ્છતા મુસાફરો માટે રેલવે દ્વારા સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે
વડોદરા-ડાકોર (ટ્રેન નં. 09149) આ ટ્રેન વડોદરા સ્ટેશનથી સવારે 1040 કલાકે ઉપડશે અને બપોરે 1205 કલાકે ડાકોર પહોંચશે.
ડાકોર-વડોદરા (ટ્રેન નં. 09150) પરત ફરતી વખતે આ ટ્રેન ડાકોરથી બપોરે 1550 કલાકે રવાના થશે અને સાંજે 1710 કલાકે વડોદરા પરત ફરશે.


