- આજે સાંજે 4 વાગ્યાથી તમામ પ્રકારના વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તા. 11મી મેના રોજ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. વડોદરા જિલ્લાના અણખોલ ગામની સીમમાં નવનિર્મિત સરદારધામના લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે. આ પ્રસંગે વડાપ્રધાનનો ભવ્ય રોડ-શો પણ યોજાનાર છે, જેને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
લોકાર્પણ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ, સાંજે 6થી 07.15 કલાકે વડાપ્રધાન હરણી, ગદા સર્કલથી હરણી એરપોર્ટ સુધી રોડ-શો કરશે. આ દરમિયાન વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે નો-પાર્કિંગ ઝોન અને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આજે સાંજે 4 વાગ્યાથી આપેલા વિસ્તારોમાં રોડની બંને સાઈડ 100 મીટર સુધી તમામ પ્રકારના વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
આ દરમિયાન ટ્રાફિક નિયંત્રણોમાંથી ઇમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસના વાહનો અને એરપોર્ટની ફ્લાઈટની ટિકિટ ધરાવતા મુસાફરોના વાહનોને મુક્તિ આપવામાં આવી છે. શહેરના નાગરિકોને આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી પોલીસને સહકાર આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.


