- ભણીયારા ગામના જૈન દેરાસરમાંથી ચોરેલા પંચધાતુના બે મુગટ, એલ્યુમિનિયમની પેટી, મોતીની માળાઓ, કડલા, રોકડા રૂ. 8,500 તથા એક મોબાઇલ ફોન જપ્ત કરાયો
- દસ દિવસ પહેલાં વાઘોડીયા GIDCમાં આવેલ અંબા માતાના મંદિરમાંથી ચોરી કરી હતી
વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે મંદિરોમાં થયેલી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે. સાથે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીએ ભણીયારા ગામના જૈન દેરાસર તથા વાઘોડીયા GIDCમાં આવેલ અંબા માતાના મંદિરમાંથી ચોરી કરી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા ગ્રામ્ય એલસીબી ટીમને આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીની શોધખોળ દરમ્યાન એલસીબી ટીમને ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારિત માહિતી મળતાં જરોદ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ મામલે શંકાસ્પદ આરોપીને ઝડપી પૂછપરછ કરતા આ ગુન્હાના ભેદ ઉકેલાયા હતા. આ કાર્યવાહીમાં ઝડપાયેલ આરોપી કલ્પેશભાઈ બદીયાભાઈ ભાભોર (મૂળ રહે. ચિલાકોટા, તા. લીમખેડા, જિ. દાહોદ; હાલ રહે. હરીહર હાર્મોની સોસાયટી, વાઘોડીયા, જિ. વડોદરા)છે. તેની પાસેથી જૈન દેરાસરમાંથી ચોરેલા પંચધાતુના બે મુગટ, એલ્યુમિનિયમની પેટી, મોતીની માળાઓ, કડલા, રોકડા રૂ. 8,500 તથા એક મોબાઇલ ફોન સહિત કુલ અંદાજે રૂ. 32,175નો મુદ્દામાલ મળી આવ્યો છે.
પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે, આજથી આશરે 20 દિવસ પહેલાં તેના સાગરીતો અજીત છગનભાઈ ભાભોર તથા ઇસ્માઇલ ઉર્ફે નીલેશ મંડોર સાથે મળીને ભણીયારા ગામના જૈન દેરાસરમાંથી ચોરી કરી હતી.
આ ઉપરાંત દસેક દિવસ પહેલાં તે જ ટોળકીએ વાઘોડીયા GIDCના અંબા માતાના મંદિરમાંથી સોનાનું મંગળસૂત્ર, ચાંદીના છત્તર તથા અન્ય આભૂષણોની ચોરી કરી હતી, જે અજીત ભાભોર વેચવા લઈ ગયો હતો. આ કાર્યવાહી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


