- કંપનીએ સ્લોવાકિયાની ફાઇનલ સબમિશન થઈ જવાની ખાતરી આપી વિદ્યાર્થીઓને લેબર લેટર આપ્યા હતા, ચકાસણી દરમિયાન લેટર ખોટા અને બનાવટી હોવાનું સામે આવ્યું હતું
અમદાવાદના ફ્રીલાન્સ શિક્ષકે વડોદરાના સુભાનપુરા સ્થિત વિઝા કન્સલ્ટન્સી કંપનીના બે ડિરેક્ટર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વિદેશમાં વર્ક પરમિટ અપાવવાના બહાને લાખો રૂપિયા વસૂલ્યા બાદ અલગ-અલગ દેશોના નામે બહાનાં બનાવવામાં આવ્યા હતા અને ખોટા લેબર લેટર આપીને વિદ્યાર્થીઓનું કામ પૂર્ણ કર્યું નહોતું. જેથી આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા અને ફ્રીલાન્સ શિક્ષક તરીકે કાર્યરત રીતેશ રંજન સિંહાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ વિદેશમાં અભ્યાસ અને વર્ક પરમિટ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને PTE અને IELTSની તૈયારી કરાવે છે. વિદ્યાર્થીઓ માટે વિશ્વસનીય વિઝા એજન્સીની શોધ દરમિયાન તેમને વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી વિઝિટન્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ વિશે માહિતી મળી હતી.
ડિસેમ્બર-2024 દરમિયાન કંપનીના કર્મચારીઓએ તેમનો સંપર્ક કરીને ઓફિસે બોલાવ્યા હતા. ત્યાં કંપનીના ડિરેક્ટર નીરવ વાણંદ અને પ્રિયાંશુ શિંદે સાથે મુલાકાત થયા બાદ તેમણે B2B ધોરણે સાથે કામ કરવાનો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓના વિઝા અને વર્ક પરમિટના કેસ આ કંપનીને સોંપવાનું શરૂ કર્યું હતું.
સૌપ્રથમ વિદ્યાર્થી ભાર્ગવ રાવલને હંગેરીમાં બેકરી હેલ્પર તરીકે વર્ક પરમિટ અપાવવાની પ્રક્રિયા માટે કુલ ખર્ચ 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. તેની પ્રક્રિયા શરૂ કરવા માટે 1 જાન્યુઆરી, 2025ના રોજ શિક્ષકે કંપનીના ખાતામાં 1 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જોકે બાદમાં હંગેરીના ગ્રુપ વિઝા સસ્પેન્ડ હોવાનું કહી કેસ ઇટાલીમાં ટ્રાન્સફર કરવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ ઇટાલીનું કામ પણ અટક્યું હોવાનું જણાવીને ગ્રીસ માટે પ્રક્રિયા શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી વિદ્યાર્થીનું વર્ક પરમિટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી.
ત્યારબાદ વ્રજ ઉપાધ્યાય, અશોક ખટીક, રાહુલ પરમાર, માનસીંગ ગુરૂન, શુભમ છત્રિય, બ્રીજેશ ટીમ્બાડિયા, નવનીલ ત્રિવેદી અને રોનક મેવાડા સહિત કુલ 8 વિદ્યાર્થીઓને સ્લોવાકિયા માટે વર્ક પરમિટ અપાવવાના બહાને એક વ્યક્તિ દીઠ રૂ.6 લાખનો ખર્ચ જણાવ્યો હતો. આ કેસોની પ્રક્રિયા માટે એપ્રિલ-મે 2025 દરમિયાન ફરિયાદીએ ટુકડે-ટુકડે કુલ 3.75 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
કંપની દ્વારા જૂન મહિનામાં સ્લોવાકિયાની ફાઇનલ સબમિશન થઈ જવાની ખાતરી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને લેબર લેટર પણ આપ્યા હતા. જોકે, ચકાસણી દરમિયાન આ લેટર ખોટા અને બનાવટી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પૂછપરછ કરતાં આરોપીઓ સમય પસાર કરતા રહ્યા અને કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો.
આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી અલગ-અલગ દેશોના વર્ક પરમિટ અને વિઝા અપાવવાના બહાને વિશ્વાસમાં લઈ કુલ રૂ.4.75 લાખ મેળવ્યા હતા. જેમાંથી રૂ.1 લાખ પરત આપ્યા બાદ બાકીના રૂ.3.75 લાખ પરત આપ્યા નથી તેમજ ખોટા અને બનાવટી લેબર લેટર આપીને વિદ્યાર્થીઓના વર્ક પરમિટનું કામ પૂર્ણ ન કરીને છેતરપિંડી આચરી છે. આ મામલે ગોરવા પોલીસે ડિરેક્ટર નીરવ વાણંદ અને પ્રિયાંશુ શિંદે સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


