- કોર્પોરેશન તેના પ્લોટો બે વર્ષની એક્સટેન્ડેબલ લીઝ પર એક રૂપિયાના ટોકન દર પર બાંધકામ બોર્ડને આપશે
રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઠરાવ મુજબ વડોદરા શહેરમાં બાંધકામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શ્રમજીવીઓ માટે પ્રી ફેબ્રિકેટેડ કામ ચલાઉ ધોરણે આવાસ પૂરા પાડવામાં આવશે. કોર્પોરેશન તેના પ્લોટો આ ઉપયોગ માટે બે વર્ષની એક્સટેન્ડેબલ લીઝ પર એક રૂપિયાના ટોકન દર પર બાંધકામ બોર્ડને આપશે. આ માટે સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
શહેરની આસપાસ બહારગામથી રોજગારી માટે આવતા અને બાંધકામની કામગીરી સાથે સંકળાયેલા શ્રમિકો રોજ રાત્રી રોકાણ આસપાસના વિસ્તારના જાહેર માર્ગો અને ફૂટપાથ પર કરતા હોય છે. વડોદરામાં આ પ્રકારના 10,000 આવાસ બનાવવા માટેનો લક્ષ્યાંક સરકારે રાખ્યો છે. જેમાં નાગરવાડા, છાણી, દંતેશ્વર, સવાદ, તાંદળજા, જીઆઇડીસી, સમા, ગોત્રી, વાસણા અને માંજલપુર વિસ્તારમાં કોર્પોરેશનના પ્લોટો પર આશરે 5,000 આ પ્રકારના આવાસ બનાવી શકાય તેમ છે. વર્ષ 2019માં શ્રમજીવીઓ માટે પ્રી ફેબ્રિકેટેડ આવાસ કામ ચલાઉ ધોરણે પુરા પાડવા કોર્પોરેશનના પ્લોટ આપવા સંદર્ભે દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવેલી હતી. અગાઉ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમજીવીઓ માટે આ પ્રકારના આવાસ પૂરા પાડવા શ્રમિક બશેરા યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.