આજવા સરોવરમાં પોન્ટુન ઇન્સ્ટોલ કરાયું, પ્રથમ તબક્કામાં 75 અને ડિસેમ્બર સુધીમાં 50 MLD પાણી મળી શકશે

વડોદરામાં ડિસેમ્બર સુધી પૂર્વ અને દક્ષિણ ઝોનને કુલ 125 MLD વધારાનું પાણી મળશે

MailVadodara.com - Pontoon-installed-in-Ajwa-Lake-75-MLD-water-will-be-available-in-the-first-phase-and-50-MLD-by-December

- સિંધરોટ, મહીસાગર અને આજવા આધારિત લાંબા ગાળાનું આયોજન તૈયાર

- વડોદરામાં 2030 સુધી પાણીની તંગી ન સર્જાય તે માટે તંત્રે નવી યોજના અમલમાં મૂકી, ઓજી, બિલ અને ભાયલી વિસ્તારમાં પણ વધારાના પાણી પુરવઠાની વ્યવસ્થા 

વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં આ મહિનાના અંત સુધીમાં પાણીની સમસ્યા હળવી થશે તેવા સંકેત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા આપવામાં આવ્યા છે. આજવા સરોવર ખાતે પોન્ટુન હાલમાં તૈયાર છે અને તેમાંથી 75 MLD જેટલું પાણી આ મહિનાના અંત સુધીમાં અને બાકીનું 50 MLD પાણી ડિસેમ્બર મહીના સુધીમાં આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા આ અંગેની સત્તાવાર વિગતો આપતા જણાવવામાં આવ્યું છે કે, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં પાણીનો પુરવઠો વધારવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આ વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.


આ આયોજનના ભાગરૂપે આજવા સરોવર ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવેલું પોન્ટુન (ફ્લોટિંગ પંપિંગ સ્ટેશન) હાલમાં સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે. આ પોન્ટુન સિસ્ટમ કાર્યરત થવાથી આ જ મહિનાના અંત સુધીમાં વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારોને અંદાજે 75 MLD જેટલું વધારાનું પાણી આપવાનું શરૂ કરી દેવામાં આવશે.

આ 75 MLD પાણી મળવાને કારણે સ્થાનિક રહીશોને ઉનાળા અને ચાલુ સિઝનમાં પડતી પાણીની તંગીમાંથી મોટી રાહત મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આ માસ્ટર પ્લાન મુજબ, કામગીરીને બે તબક્કામાં વહેંચવામાં આવી છે. પ્રથમ તબક્કાની કામગીરી આ જૂન મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરી 75 MLD પાણી સપ્લાય કરાશે. જ્યારે બીજા તબક્કા હેઠળ આગામી ડિસેમ્બર મહિના સુધીમાં બાકીનું 50 MLD પાણી પણ આ વિસ્તારોને પૂરું પાડવાનું સુદ્રઢ આયોજન તંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવ્યું છે. લોકોને પૂરતા દબાણ સાથે પાણી મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

ડિસેમ્બર સુધીમાં પૂર્વ અને દક્ષિણ વડોદરાને કુલ 125 MLD જેટલું વધારાનું પાણી મળતું થઈ જશે, જેનાથી આગામી સમયમાં આ વિસ્તારોમાં પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ થઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે. તો ઓજી વિસ્તારમાં પણ પાણીની સમસ્યાના નિવારણ માટે સિંધરોટ તેમજ મહીસાગર નદીમાંથી પાણી પૂરું પાડવાનું આયોજન કરાયું છે. આ વિસ્તારમાં ખાસ કરીને બિલ, ભાયલી વિસ્તારમાં 150 MLD પાણી મળી રહે તેવું આયોજન છે. આગામી 2030 સુધી કોઈ મુશ્કેલી ન પડે તેવા પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આજવા સરોવરની સપાટી હાલમાં 206ની નીચે છે, પરંતુ આગામી એક મહિના સુધી ચિંતા કરવાની જરૂર નથી. જો વરસાદ પાછળ ખેંચાશે તો સરદાર સરોવર નિગમ લિમિટેડ પાસેથી પાણી લેવામાં આવશે. જો કે આગામી 15 દિવસમાં વરસાદ આવી જાય તેવી આશા છે અને આજવા સરોવરનું લેવલ વધે તેવી શક્યતાઓ છે. તેમ તેઓએ ઉમેર્યું હતું.

Share :

Leave a Comments