- વડોદરામાં મોહરમ પર્વ નિમિત્તે ૫ જુલાઈના રોજ કતલની રાતનું જુલુસ અને ૬ જુલાઈના રોજ તાજિયા વિસર્જન કરાશે, માંડવીથી ટાવર, લહેરીપુરા ગેટ જેવા વિસ્તારોમાં પ્રતિબંધો રહેશે
- જાહેરનામા અંતર્ગત બપોરે ૨ વાગ્યાથી નો-એન્ટ્રી, નો-પાર્કિંગ અને વાહન ડાયવર્ઝન રહેશે

વડોદરામાં તા. 5 જુલાઈના રોજ રાત્રે 8 વાગ્યાથી શહાદત-કતલની રાત ઇશાની નમાજ બાદ, વિવિધ વિસ્તારોમાં તાજીયા ઝુલુસ નિયત રૂટ પર ફરી, પરત ઇમામવાડામાં આવશે. ત્યારબાદ, તા. 6 જુલાઈના બપોરની નમાજ પછી, તાજીયાનું ઝુલુસ નિયત માર્ગો (સરસીયા તળાવ, બોરીયા તળાવ, બારે ઇમામ મસ્જિદ વગેરે) પર ધાર્મિક વિધિ સાથે વિસર્જન (ઠંડા) કરી મોહરમની સમાપ્તિ થશે.
જાહેર જનતાને આ દરમિયાન કોઈ પણ પ્રકારની અગવડ ન થાય અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા. 6 જુલાઈના 12 વાગ્યાથી 24 કલાક સુધી અથવા ઝુલુસ અને તાજીયા વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામું જારી કરવાની આવ્યું છે.
નો-પાર્કિંગ ઝોન (તમામ પ્રકારના વાહનો માટે)
તા. 6 જુલાઈ 12 વાગ્યાથી વિસર્જન પૂર્ણ થાય ત્યાં સુધી નીચેના વિસ્તારોમાં રોડની બંને બાજુ પાર્કિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.
1. પાણીગેટ દરવાજાથી માંડવી સુધી.
2. નાની શાકમાર્કેટથી ચોખંડી ચાર રસ્તા, ગેંડીગેટ દરવાજા થઈ માંડવી સુધી.
3. લહેરીપુરા દરવાજાથી માંડવી સુધી.
4. કુંભારવાડા પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા, અડાણીયાપુલ ચાર રસ્તા, ચાંપાનેર દરવાજા થઈ માંડવી સુધી.
5. સલાટવાડા ત્રણ રસ્તાથી નાગરવાડા ચાર રસ્તા, કારેલીબાગ પોલીસ સ્ટેશન ચાર રસ્તા, ભુતડીઝાંપા, પાંજરીગર મહોલ્લા થઈ ફતેપુરા ચાર રસ્તા સુધી.
6. અડાણીયાપુલ ચાર રસ્તાથી સરસીયા તળાવ થઈ ઠેકરનાથ સ્મશાન ત્રણ રસ્તા સુધી.







