વડોદરામાં આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનના બાકી રૂપિયા ભરી દેવા તાકીદ કરાઇ!

જે લાભાર્થીઓએ રૂપિયા ભર્યા નથી તેઓની યાદી કોર્પોરેશને તેની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરી

MailVadodara.com - Housing-scheme-beneficiaries-in-Vadodara-urged-to-pay-house-dues

- સાત દિવસમાં બાકી રૂપિયા નહીં ભરે તો કોર્પોરેશન કામ ચલાઉ ધોરણે ફાળવેલા મકાનને રદ કરશે!!

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી ગૃહયોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મેળવનાર લાભાર્થીઓને મકાનના  બાકી રૂપિયા ભરી જવા તાકીદ કરવામાં આવી છે. જો સાત દિવસમાં ભરપાઈ નહીં કરવામાં આવે તો કોર્પોરેશન દ્વારા કામ ચલાઉ ધોરણે ફાળવેલા મકાનને રદ કરી દેવા તાકીદ કરી છે. કોર્પોરેશન દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની આવાસ યોજનાઓમાં શહેરી ગરીબો અને ઘરવિહોણા લોકો માટે જુદી-જુદી કેટેગરીમાં પાણી, વીજળી, રસ્તા સહિતની સુવિધાઓ સાથેના મકાનોની યોજના તૈયાર કરેલી છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને મકાનો ફાળવેલા છે.

મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને તેમજ ઓછી આવક ધરાવનારા અને મધ્યમ આવક ધરાવનારા લોકો માટે પણ મકાનો બનાવ્યા છે. આવા આશરે 799 કરોડના ખર્ચે 6855 મકાનો તૈયાર કરવામાં આવેલા છે, અને લોકોને ફાળવી દેવામાં આવ્યા છે. સયાજીપુરા, ગોત્રી, તાંદળજા, સૈયદ વાસણા, હરણી, અટલાદરા વગેરે વિસ્તારમાં ઇડબલ્યુએસ, એલઆઈજી અને એમઆઈજીના મકાનો તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં રહેતા લોકો પૈકી 112 જેટલા લોકોએ હજી મકાનની લાભાર્થી ફાળાની રકમ ભરી નથી. આ લોકો અરજી કર્યા બાદ કરાયેલા ડ્રોમાં પસંદ થયા હતા. જે લોકોએ બાકી રૂપિયા ભર્યા નથી તેઓની યાદી કોર્પોરેશને તેની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરી છે. આ અગાઉ પણ તેઓને બાકી રૂપિયા ભરી દેવા સૂચના આપવામાં આવી હતી, છતાં રૂપિયા ભર્યા નથી. અંદાજે 10.62 કરોડ રૂપિયા ભરવાના બાકી નીકળે છે, તેમ જાણવા મળ્યું છે.

Share :

Leave a Comments