- આગામી તા.૨૨ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી સાંજના ૪ વાગ્યાથી મોડીરાતના 2 વાગ્યા સુધી કે જ્યાં સુધી નવરાત્રિ મહોત્સવ પૂર્ણ ના થાય ત્યાં સુધી ભારદારી વાહનોના શહેરમાં પ્રવેશી શકશે નહીં
નવરાત્રિ દરમિયાન રાતે શહેરના માર્ગો પર વાહન અકસ્માત ના થાય તે માટે ભારદારી વાહનો માટે રાતે શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
શહેરમાં ભારદારી વાહનો જેવાકે, ટ્રક, ટેન્કર, ટ્રેલર, છ કે તેથી વધુ પૈંડાના વાહનો તથા લક્ઝરી બસ માટે સવારના ૭થી બપોરના એક તથા સાંજના ૪થી રાતના ૭ વાગ્યા સુધી પ્રવેશબંધી અમલમાં છે. પોલીસ કમિશનર દ્વારા આ પ્રવેશબંધીના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. આગામી ૨૨મી તારીખથી ૧લી ઓક્ટોબર સુધી ભારદારી વાહનો સાંજના ૪ થી મોડીરાતના 2 વાગ્યા સુધી કે જ્યાં સુધી નવરાત્રિ મહોત્સવ પૂર્ણ ના થાય ત્યાં સુધી શહેરમાં પ્રવેશી શકશે નહીં. જ્યારે એસ.ટી. બસો માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. સિટિ બસ રાતના આઠ વાગ્યા પછી નવરાત્રિ મહોત્સવ પૂર્ણ ના થાય ત્યાં સુધી રાવપુરા રોડ, માંડવી દરવાજા, નાની શાક માર્કેટવાળા રોડનો ઉપયોગ કરી શકશે નહીં.


