- દાગીના ડાઇનિંગ ટેબલના કબાટમાં મૂક્યા હતા પણ લોક માર્યુ નહતું
માંજલપુરમાં રહેતા સીનિઅર સિટિઝનના ઘરમાંથી અઢી તોલા વજનના સોનાના દાગીના ચોરી થઇ ગયા હતા. કોઇ જાણભેદૂએ જ ચોરી કરી હોવાની શક્યતાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
માંજલપુર આકાર કોમ્પલેક્સ સોસાયટીમાં રહેતા સીનિઅર સિટિઝન નરેન્દ્રભાઇ નાનાલાલ જોશીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પૌત્રીની દેખરેખ માટે કેર ટેકર તરીકે કલાબેન જ્યંતિભાઇ વાઘેલા (રહે. ઇન્દિરાનગર, મકરપુરા) આવે છે. તેમજ ઘરના કામકાજ માટે ઉષાબેન અને રસોઇનું કામ કરવા માટે કિર્તીદાબેન છે. ગત ૧ લી જાન્યુઆરીએ મારા પત્ની રેખાબેને સોના ચાંદીના દાગીના ઘરના રસોડાના ડાઇનિંગ ટેબલના કબાટમાં મૂક્યા હતા. પરંતુ, લોક માર્યુ નહતું. ત્યારબાદ ૨૦મી જાન્યુઆરીએ ચેક કરતા દાગીના ગાયબ થઇ ગયા હતા. ઘરમાં કામ કરતી મહિલાઓને પૂછવા છતાંય દાગીનાની ભાળ મળી નહતી. ઘરમાંથી અઢી તોલા વજનના સોનાના દાગીના તેમજ ચાંદીના ઝાંઝર, ત્રણ લગડી ચોરી થઇ ગયા હતા.


