- કોઈ નિવેડો નહીં આવતા આવતીકાલ તા.5થી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરશે
- શિક્ષણ સમિતિની દાંડિયા બજાર સ્થિત મુખ્ય ઓફિસ ખાતે સંઘના નેજા હેઠળ હડતાલના મંડાણ થશે
વડોદરા કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા 570 કર્મચારી કાયમી કરવા માંગણીનો ઉકેલ લાવવા તા. 4 સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું, પરંતુ કોઈ નિવેડો નહીં આવતા આવતીકાલ તા.5થી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરાશે. શિક્ષણ સમિતિની દાંડિયા બજાર સ્થિત મુખ્ય ઓફિસ ખાતે સંઘના નેજા હેઠળ હડતાલના મંડાણ થશે.
સંઘના પ્રમુખના જણાવ્યા મુજબ 1992માં 570 કર્મચારીઓ હતા, જેઓને કાયમી કરવામાં આવ્યા નથી. તેમણે કહ્યું હતું કે 570 કર્મચારીઓનો હાલ કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પણ સમિતિએ ચોથા વર્ગના ચાર કર્મચારીઓ કે જેઓ પટાવાળા હતા તેઓને ડ્રાઇવર તરીકે ત્રીજા વર્ગમાં બઢતી આપી કાયમી કરી દીધા છે. એમાં પણ એક કર્મચારી નિવૃત્ત થતા તેને પેન્શન મળવાનું ચાલુ થયું છે.
કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં ચાર કર્મચારીઓ કઈ રીતે કાયમી કરાયા તે મુદ્દે તેમણે આરટીઆઈમાં જવાબ માંગ્યો છે. આ મુદ્દે જે કોઈ જવાબદાર હશે તે સામે તેમણે કાયદાકીય કાર્યવાહી કરવા ચીમકી આપી છે. હાલ માત્ર 105 કામ કરે છે. જે બધા ચાર પાંચ વર્ષમાં નિવૃત્ત થઈ જશે. અગાઉ જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે મુજબ સંઘ કાયમી રાહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેને આપવા પાત્ર લાભો આપવા માંગ કરી રહ્યું છે.