- ગોરવા પોલીસે બંને પક્ષના કુલ ૧૨ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી ગોસિયા મસ્જિદ પાસે જૂની અદાવતને કારણે એક જ પરિવારના બે જૂથો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ઘટનામાં કુલ પાંચ વ્યક્તિઓને ઓછીવત્તી ઈજા પહોંચતાં ગોરવા પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદના આધારે કુલ ૧૨ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
ઝરીનાબેન પઠાણે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે બપોરે એક લગ્નપ્રસંગ દરમિયાન તેમના દિયર સાલમખાનની પુત્રી સાબરીન પઠાણે જૂની અદાવત રાખી આ લોકોને બહુ ચરબી ચઢી ગઈ છે, ઉતારવી પડશે તેવું કહી તેમની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ગોસિયા મસ્જિદ પાસે હાસમીપાર્ક સોસાયટી સ્થિત તેમના ઘરે દિયરના ત્રણ પુત્રો ખાલીદ, શાહરૂખ અને યાસીન ધસી આવી મને ગાળો આપી માર માર્યો હતો.
ઝરીનાબેનના જણાવ્યા મુજબ, તેમના પાંચ દીકરાઓ બચાવવા વચ્ચે પડતાં આરોપીઓએ તેમને ગડદાપાટુનો માર માર્યો હતો, જેમાં તેમના બે પુત્રોને સાધારણ ઈજા પહોંચી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ખાલીદ પઠાણ, શાહરૂખ પઠાણ, યાસીન પઠાણ, ફ્રકરુનબેન પઠાણ અને સાબરીન પઠાણ (રહે. આમીના પાર્ક સોસાયટી, ગોરવા) સામે ગુનો નોંધ્યો હતો.
બીજી તરફ, શાહરૂખ પઠાણે જણાવ્યું હતું કે, લગ્નપ્રસંગમાંથી પરત ફરતી વખતે તેના કાકાના પુત્રો ઈમરાન પઠાણ, રિઝવાન પઠાણ, કમરાન પઠાણ, ગોફરાન પઠાણ, કેફ પઠાણ, તેમની માતા ઝરીના પઠાણ અને પુત્રી રેહાના પઠાણ (રહે. હાસમીપાર્ક સોસાયટી, ગોરવા) ઊભા હતા. તે સમયે ક્યાં હુવા? તેમ પૂછતા જ તમામે મળીને મને ગડદાપાટુનો માર માર્યો હતો, જેમાં તેને ઈજા પહોંચી હતી. તેમજ તેની મદદ માટે આવેલા તેના ભાઈઓ ખાલીદ અને યાસીનને પણ માર મારવામાં આવ્યો હતો. આ બંને ફરિયાદોના આધારે ગોરવા પોલીસે બંને પક્ષના કુલ ૧૨ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .


