- ફાયર બ્રિગેડે કટરથી ગાડીનો ભાગ કાપી મૃતકને બહાર કાઢ્યા
- આ અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને પાંચ લોકોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
વડોદરાના પોર નજીક અર્ટિગા કારનો ગમખ્વાર અકસ્માત થયો છે. સુરતના એક પરિવારની પાવાગઢથી પરત ફરતા અર્ગિટા કાર હાઈવેથી નીચે ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય પાંચ લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર હોસ્પિટલ ખસડેવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ડિંડોલીમાં રહેતા અને મૂળ મહેસાણાનો પરિવાર પાવાગઢ દર્શન કરવા આવ્યા હતા. જોકે, તેઓ પાવાગઢથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ કુલ આઠ લોકોમાંથી પાંચ લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર આપવામાં આવી રહી છે. આ ઇજાગ્રસ્તો પૈકી કેટલાક દર્દીને હાલમાં શહેરના મકરપુરા હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. ફાયર વિભાગ દ્વારા મૃતકોને ફાયર કટર વડે ગાડીનો કેટલોક ભાગ કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્ત ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, અમે ડિંડોલીના છીએ. પાવાગઢથી સુરત જતા હતા. રસ્તામાં અચાનક અકસ્માત થયો તે દરમિયાન હું સૂતો હતો અને ત્યાર બાદ મને એમ્બ્યુલન્સમાં મૂક્યો ત્યારે ભાન આવ્યું હતું.
મૃતકોના નામ
વિનય પટેલ (ઉ.વ. 24, કાર ચાલક, રહે. ઓમનગર, મહેસાણા)
દિપીકાબેન અમરત પટેલ (ઉ.વ. 28, હાલ રહે. ડિંડોલી, સુરત, મૂળ રહે. ઓમનગર, મહેસાણા)
હિતેશ પટેલ (ઉ.વ. 49, રહે. સુરત)
ઇજાગ્રસ્તોના નામ
ચિરાગ પટેલ (ઉ.વ. 24, રહે. સુરત)
ધ્રુવ પટેલ (ઉ.વ. 26,)
વિનય જગદીશ પટેલ (ઉ.વ. 32, રહે. ઉમિયા માતા મંદિર પાસે, ડિંડોલી, સુરત)
જગદીશ પટેલ (ઉ.વ. 47)
નીરજબેન જગદીશ પટેલ (ઉ.વ. 47, રહે. સુરત)