- ટેકનિકલ અને નોન-ટેકનિકલ 130 જગ્યાઓ માટે 18 થી 35 વર્ષના યુવાનો ભાગ લઈ શકશે
વડોદરાના શિક્ષિત બેરોજગાર યુવાનો માટે રોજગારીની ઉત્તમ તક સામે આવી છે. મદદનીશ રોજગાર નિયામકની કચેરી દ્વારા 12 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 10.30 કલાકે તરસાલી સ્થિત ITI કેમ્પસમાં રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ટેકનિકલ અને નોન-ટેકનિકલ ક્ષેત્રની કુલ 130 જેટલી ખાલી જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ ભરતી મેળામાં SSC, HSC, ITI (ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, વેલ્ડર, ફિટર, AOCP), ડિપ્લોમા, BE અને B.Tech (સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, કેમિકલ) તેમજ કોઈપણ શાખાના ગ્રેજ્યુએટ થયેલા 18 થી 35 વર્ષના સ્ત્રી અને પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના 3 બાયોડેટા સાથે નિયત સમયે હાજર રહેવાનું રહેશે.
ભરતી મેળા દરમિયાન ઉમેદવારોને વિદેશમાં રોજગાર અને શિક્ષણ માટે સેફ લીગલ માઇગ્રેશન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY), સ્વરોજગાર લોન સહાય, અનુબંધમ પોર્ટલ અને NCS પોર્ટલના ઉપયોગ અંગે પણ વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવશે.
મદદનીશ રોજગાર નિયામકની યાદી મુજબ, આ ભરતી મેળામાં કોઈ પણ ફી કે ચાર્જ ચૂકવવાનો નથી. ઉમેદવારોએ સ્વ-ખર્ચે પસંદગી પ્રક્રિયામાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.


