- વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પકડાયેલા બંને આરોપીને નડિયાદ ટાઉન પોલીસને સોંપ્યા
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે નડીયાદથી ચોરાયેલી એક્ટિવા વેચવાના ઇરાદે ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને એક્ટિવા જપ્ત કરી છે અને નડિયાદનો વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને બંને આરોપીને નડિયાદ ટાઉન પોલીસને સોંપ્યા છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, વારસીયા રોડ પર કલાવતી હોસ્પિટલ સામે બે શખ્સો એક્ટિવા વેચવાના ઇરાદે ફરી રહ્યા છે, જે ચોરીની હોવાની શંકા છે. જેથી, ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. આ સમયે આરોપીઓએ પોલીસને જોતાં એક્ટિવા ચાલુ કરી નાસવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અર્જુન ઉર્ફે વિશાલ સુરેશભાઈ દંતાણી (ઉંમર 21 વર્ષ), (રહે. અકોટા ગામ, સાબરી મહોલ્લો, સ્મશાન નજીક ઝૂંપડપટ્ટી, વડોદરા) અને ઇશ્વરભાઈ રમણભાઈ દેવીપૂજક (ઉંમર 33 વર્ષ), (રહે. દેવીપૂજક વાસ, કૃષ્ણ સિનેમા સામે, ઉમરેઠ, જિ. આણંદ)ને એક્ટિવા સાથે કોર્ડન કરી ઝડપી લીધા હતા.
આરોપીઓ પાસે એક્ટિવાના કોઈ દસ્તાવેજો ન હતા. પૂછપરછમાં તેમણે કબૂલ્યું કે, તેઓએ ત્રણ દિવસ પહેલાં રાત્રિના સમયે નડીયાદ બસ સ્ટેન્ડ પાસેથી આ એક્ટિવા ચોરી કરી હતી અને તેને વેચવા ફરી રહ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે એક્ટિવા કબજે કરીને નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. નડીયાદ ટાઉન પોલીસે આ એક્ટિવા અંગે ચોરીનો ગુનો નોંધેલો હોવાનું જણાતાં આરોપીઓ અને એક્ટિવાને તેમના હવાલે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ છે, જેમાં અર્જુન ઉર્ફે વિશાલ દંતાણી અગાઉ વડોદરામાં વાહન ચોરી તેમજ ઉમરેઠ અને આણંદમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે અને ઇશ્વરભાઈ દેવીપૂજક અગાઉ આણંદ અને ઉમરેઠમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે.