- બનાવ અંગે કંપનીના સંચાલક, તત્કાલીન મેનેજર અને ડેપ્યુટી મેનેજર સામે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ, 2022 તે લોનને સસ્પેક્ટેડ ફ્રોડની કેટેગરીમાં મુકવામાં આવી
વડોદરા જિલ્લાના પાદરામાં આવેલી SBI બેંકના પૂર્વ મેનેજર અને ડે. મેનેજર દ્વારા કોઇ પણ પ્રકારની જરૂરી ખરાઇ કર્યા વગર જ કંપની સંચાલકને રૂપિયા 10 લાખની મુદ્રા લોન આપી દેવામાં આવી હતી. લોન લીધા બાદ રકમ ભરપાઇ કર્યા વગર મશીનરી પણ બારોબાર વેચી મારી હતી. આ બનાવ અંગે કંપનીના સંચાલક, તત્કાલીન મેનેજર અને ડેપ્યુટી મેનેજર સામે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પાદરા પોલીસ મથકમાં દિલીપકુમાર બાબરભાઇ બામણીયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ હાલ પાદરા ખાતે આવેલી એસબીઆઇ બેંકના મેનેજર છે. તાજેતરમાં તેમને ઓથોરીટી દ્વારા બેંક સાથે છેતરપિંડી કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો પત્ર પાઠવવામાં આવ્યો હતો. જેથી લોન લઇને ભરપાઇ નહીં કરનારા ખાતેદારો વિરૂદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી.
દરમિયાન ધ્યાને આવ્યું કે, મેસર્સ એકલવ્ય ગ્રુપના પ્રોપ્રાઇટર પ્રિન્કલ નિરજ ધનુરધારી (રહે. નિજાંદ બંગ્લો, ડભોઇ, વડોદરા) દ્વારા કેશ ક્રેડિટ લોન અને ટર્મ લોન માટે અરજી કરી હતી. તત્કાલીન લોન ઓફિસર સુપ્રભાત કુમાર દ્વારા સંસ્થાનું પ્રિ-ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ન હતું. તે વખતના બેંક મેનેજર સુનિલ સિન્હા અને ડેપ્યુટી મેનેજર સુપ્રભાત કુમારે ડોક્યૂમેન્ટની ખરાઇ કર્યા વગર એકલવ્ય ગ્રુપના પ્રિન્કલ ધનુરધારીને રૂપિયા 10 લાખની મુદ્રા લોન મંજૂર કરી આપી હતી.
તે સાથે જ પ્રિન્કલે બેંકને લેટર ઓફ એરન્જમેન્ટ અને લેટર ઓફ ગેરન્ટી ઉપર સહીં કરી આપી હતી. તેમજ સ્ટોર સહિતની વસ્તુઓને સીસી લોનના ધીરાણના ભાગરૂપે હાઇપોથીફીકેશન કરી આપ્યું હતું. બાદમાં પ્રિન્કલે સમયસર લોન ભરપાઇ કરી ન હતી. તેથી વર્ષ 2019ના રોજ તેનું એકાઉન્ટ એનપીએ થઇ ગયું હતું. વર્ષ 2021માં બેંક મેનેજર સુનિલ કુમાર સિન્હા નિવૃત્ત થઇ ગયા હતા. બાદમાં પ્રિન્કલનો સીબીલ રીપોર્ટ જોતા તેણે અન્ય બેંકમાંથી રૂપિયા 1.50 કરોડની લોન મેળવી હતી, જેમાં રૂપિયા 33 લાખ રકમ બાકી દર્શાવતી હતી. જે બાદ તપાસ કરતા તેણે કરાર મુજબ કોઇ પણ પ્રકારના ખરીદ-વેચાણ કર્યાના વ્યવહાર રજૂ કર્યા ન હતા.
જે બાદ વધુ તપાસમાં ધ્યાને આવ્યું કે, પ્રિન્કલે પોતાના એકાઉન્ટમાંથી રકમ પોતાના ધંધાના અન્ય સંથળે તદબીલ કરીને લોનની ચૂકવણી કરવાના બદલે બેંક સાથે વિશ્વાસઘાત કર્યો હતો. વર્ષ 2022 તે લોનને સસ્પેક્ટેડ ફ્રોડની કેટેગરીમાં મુકવામાં આવી હતી. ઉપરોક્ત મામલે પ્રિ-ઇન્સ્પેક્શન અને પોસ્ટ ઇન્સ્પેક્શન નહીં કરનાર બેંક મેનેજર સુનિલકુમાર સિન્હા, ડેપ્યુટી મેનેજર સુપ્રભાત કુમાર અને મેસર્સ એકલવ્ય ગ્રુપના પ્રોપ્રાઇટર પ્રિન્કલ નિરજ ધનુરધારી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ત્રણેય વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.