- મુખ્યમંત્રી નૂતન કન્યા છાત્રાલય અને વર્કિંગ વુમન હોસ્ટેલનું લોકાર્પણ કરશે
- કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા નવીન કુમાર છાત્રાલયનું લોકાર્પણ કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૧૮/૦૧/૨૦૨૬ ને રવિવારના રોજ વડોદરા શહેરના પ્રવાસે છે. તેઓ રવિવારે ગોરવા સ્થિત શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા આયોજીત લોકાર્પણ સમારોહમાં ઉદ્ઘાટક અને અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે.
શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા અદ્યતન સુવિધાસભર નૂતન કન્યા છાત્રાલય અને વર્કિંગ વુમન હોસ્ટેલ તેમજ કુમાર છાત્રાલયનું રવિવારે સાંજે ચાર વાગ્યે લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉદ્ઘાટક અને અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહીને શ્રી કલ્યાણજીભાઈ કાનજીભાઈ વિઠાણી કન્યા છાત્રાલય અને વર્કિંગ વુમન હોસ્ટેલનું ઉદ્ઘાટન કરશે. જ્યારે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહીને શ્રી પરશોત્તમભાઈ એન. ગેવરિયા કુમાર છાત્રાલયનું ઉદ્ઘાટન કરશે.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજના ટ્રસ્ટી મંડળ ઉપરાંત સમાજના અગ્રણીઓ, દાતાશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે.


