- વડોદરાથી અમદાવાદ, સુરત, દાહોદ, પંચમહાલ, ગોધરા, રાજકોટ, છોટા ઉદેપુર સહિત પાવાગઢ ડાકોર તરફ વધારાની બસો ફાળવાઇ, રોજના સવા લાખથી દોઢ લાખ મુસાફરોની અવર-જવર
રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજથી વડોદરા સેન્ટ્રલ બસ ડેપો દ્વારા મુસાફરોની વધતી ભીડ અને સુવિધાઓને લઇ રોજિંદી બસ સેવા ઉપરાંત વધારાની એક્સ્ટ્રા બસ સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા સેન્ટ્રલ બસ ડેપો દ્વારા રોજની 50 એક્સ્ટ્રા બસ સંચાલન આજથી આગામી ચાર દિવસ માટે શરૂ કરવામાં આવ્યું છે.

વડોદરા સેન્ટ્રલ બસ ડેપો દ્વારા આજથી રક્ષાબંધન પર્વની ઉજવણી માટે જઈ રહેલા લોકો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વડોદરામાં આસપાસના જિલ્લા અને રાજ્યના મજૂરી વર્ગના મોટા ભાગના લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે ત્યારે વડોદરાથી અમદાવાદ, સુરત, દાહોદ, પંચમહાલ, ગોધરા, રાજકોટ, છોટા ઉદેપુર સહિત પાવાગઢ ડાકોર તરફ વધારાની બસો ફાળવવામાં આવી છે, જેથી બસમાં મુસાફરોની ભીડને કંટ્રોલમાં લઈ શકાય અને કોઈ અઇચ્છનીય બનાવ ન બને.

આ અંગે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ઈનચાર્જ જનક ભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરા વિભાગ તરફથી રોજની 50 બસો એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવેલ છે. ચાર દિવસ સુધી આ પ્રોગ્રામ ચાલુ રહેશે. તે દરમિયાન રોજના 30 હજારથી વધુ મુસાફરો એક્સ્ટ્રા બસના સંચાલનમાં લાભ લેશે. રોજના મુસાફરો સાથે અમારી જે રાબેતા મુજબ ચાલી રહી છે તે બસો તો ચાલી રહી છે. 100 ડ્રાઈવર-કંડકટર છે. પાંચ સુપરવાઇઝરો છે. રોજની 50 બસો એક્સ્ટ્રા ફાળવી છે. ચાર દિવસ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલું છે.
વધુમાં કહ્યું કે, સમગ્ર અમારી પેસેન્જર મુસાફરોને સગવડ પહોંચાડવાનું આયોજન પંચમહાલ સાઈડ, દાહોદ, ઝાલોદ, ગોધરા, લીમખેડા તેમજ સૌરાષ્ટ્ર સાઈડ, ભાવનગર, રાજકોટ સાઈડ અમે કરેલું છે. રોજના અને એક્સ્ટ્રા સંચાલન બધુ મળી અંદાજિત રોજના સવા લાખથી દોઢ લાખની આજુબાજુ મુસાફરો મુસાફરી કરે છે.


