- કર્મચારી અને સ્વરોજગાર કેટેગરીમાં 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ અરજી કરી શકશે
- અધૂરી વિગતો વાળી અથવા સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ગ્રાહ્ય રખાશે નહીં
ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામક ખાતા દ્વારા વર્ષ 2025ના `રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક' એનાયત કરવામાં આવનાર છે. આ પારિતોષિક માટે વિવિધ કેટેગરીમાં યોગ્યતા ધરાવતા ઉમેદવારો અને સંસ્થાઓ પાસેથી આગામી તા. 27 ફેબ્રુઆરી 2026 સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી છે.
રસ ધરાવતા અરજદારો નિયત નમૂનાનું અરજી ફોર્મ અનુબંધમ પોર્ટલ https//anubandham.gujarat.gov.in/notice-board પરથી ડાઉનલોડ કરી શકશે. આ ઉપરાંત, મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, આઈ.ટી.આઈ. તરસાલી કેમ્પસ, વડોદરા ખાતેથી પણ વિનામૂલ્યે મેળવી શકાશે.
કર્મચારી અને સ્વરોજગાર કેટેગરીમાં 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ અરજી કરી શકશે. અરજદારે શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, આધાર કાર્ડ, છેલ્લા ત્રણ માસનું દિવ્યાંગતા પ્રમાણપત્ર, પોલીસ વેરિફિકેશન અને પોસ્ટ કાર્ડ સાઈઝના ૩ ફોટા (ખોડ દર્શાવતા) સામેલ કરવાના રહેશે. નોકરીદાતા સંસ્થાએ છેલ્લા ૩ વર્ષમાં રાખેલ દિવ્યાંગ કર્મચારીઓની યાદી, કામનો પ્રકાર અને તા. 31/12/2025 ની સ્થિતિએ કુલ દિવ્યાંગ સ્ટાફની આંકડાકીય માહિતી આપવાની રહેશે. જ્યારે પ્લેસમેન્ટ ઓફિસરે છેલ્લા ૫ વર્ષની કામગીરીની વિગતો દર્શાવવાની રહેશે.
સંપૂર્ણ વિગતો સાથે ભરેલા ફોર્મ જરૂરી દસ્તાવેજો સહિત ત્રણ નકલમાં તા. 27/02/2026 સુધીમાં કચેરી સમય દરમિયાન મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, મોડેલ કરિયર સેન્ટર, પ્રથમ માળ, આઈ.ટી.સી. બિલ્ડિંગ, આઈ.ટી.આઈ. તરસાલી કેમ્પસ, વડોદરા ખાતે રૂબરૂમાં જમા કરાવવાના રહેશે.
અધૂરી વિગતો વાળી અથવા સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. વધુ માહિતી માટે તરસાલી સ્થિત રોજગાર કચેરીનો સંપર્ક કરવા મદદનીશ નિયામક (રોજગાર) વડોદરા દ્વારા જણાવાયું છે.
પારિતોષિક માટેની મુખ્ય કેટેગરીઓ નીચે મુજબ છે
૧. શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારી
૨. સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિ
૩. દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતા
૪. દિવ્યાંગોને રોજગારી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પ્લેસમેન્ટ ઓફિસર


