- લક્ષ્મીપુરામાં શિવમ રેસિડેન્સીમાં રહેતો અમિતકુમાર શર્મા ગઇકાલે સાંજે પત્ની સાથે અંકોડિયા ગામ નજીક નર્મદા કેનાલ પર બેઠો હતો
- પતિને બચાવવા પત્ની પણ કેનાલમાં કૂદી પડતા લોકોએ બચાવી
મોબાઇલ પર વાતચીત કરતા યુવકનો પગ લપસતા તે કેનાલમાં પડતા તણાઇ જતા તેનું મોત થયું હતું. જે અંગે તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, લક્ષ્મીપુરા વિસ્તારમાં શિવમ રેસિડેન્સીમાં રહેતો ૩૧ વર્ષનો અમિતકુમાર જગમાલભાઇ શર્મા ગઇકાલે સાંજે પત્ની સાથે અંકોડિયા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પર બેઠો હતો. તે દરમિયાન તેના મોબાઇલ પર કોલ આવતા તે ઉભો થઇને ચાલતો ચાલતો વાત કરતો હતો. તે દરમિયાન તેનો પગ લપસતા કેનાલના પાણીમાં પડતા તણાવા લાગ્યો હતો. પતિને તણાતા જોઇને પત્નીએ બૂમાબૂમ કરી હતી. જેથી, આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.પતિને બચાવવા માટે પત્નીએ પણ કેનાલમાં ઝંપલાવ્યું હતું. જોકે, પતિનું ડૂબી જવાથી મોત થયું હતું.જ્યારે પત્નીને લોકોએ બહાર કાઢી લેતા તેનો જીવ બચી ગયો હતો.


