- આસપાસના લોકોએ દોડી આવી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા, રિક્ષા ચાલકને ઇજા થતા સારવાર માટે ખસેડાયા, સારવાર બાદ સ્મિતાબેને હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
એલ એન્ડ ટી સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાંય પૂરઝડપે આવતી કાર સાથે રિક્ષાને અકસ્માત થતા રિક્ષા પલટી જતા ચાલક સહિત ત્રણને ઇજા પહોંચી હતી.
ન્યૂ સમા રોડ પર સરસ્વતી નગરમાં રહેતા મહિલા વકીલ સ્મિતાબેન નટવરભાઇ વાઘેલા ગત તા.૭મી ઓક્ટોબરે બેન્ક ઓફ બરોડાની માંડવી શાખામાં ગયા હતા. કામ પૂરું કરીને તેઓ રિક્ષામાં બેસીને ઘરે આવતા હતા. કારેલીબાગ મુક્તાનંદ પાસે એલ એન્ડ ટી સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હોઇ રિક્ષા ચાલકે રિક્ષા ઉભી રાખી હતી. સિગ્નલ ચાલુ થતા ડ્રાઇવરે રિક્ષા જવા દીધી હતી. તે દરમિયાન અમિત નગર બ્રિજથી એલએન્ડટી સર્કલ તરફ જવાના રસ્તાનું સિગ્નલ બંધ હોવા છતાંય એક કાર ચાલક આવતા અકસ્માત થતા રિક્ષા પલટી ગઇ હતી. સ્મિતાબેન રિક્ષા નીચે દબાઇ ગયા હતા. લોકોએ દોડી આવીને તેઓને બહાર કાઢ્યા હતા. રિક્ષા ચાલકને પણ ઇજા થતા સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. સારવાર પૂરી થયા પછી સ્મિતાબેને આ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


