- ભંગાણને કારણે રસ્તા પર પાણી ફરી વળતાં રાહદારીઓ-વાહનચાલકોને ભારે મુશ્કેલી

શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી પાસે, ઇસ્કોન હાઇટ્સથી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન તરફ જતા માર્ગ પર પાણીની મુખ્ય લાઇનમાં મોટું ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ભંગાણને કારણે રસ્તા પર પાણી ફરી વળતાં રાહદારીઓ તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લાઇનમાં ભંગાણના કારણે પાણી વિતરણ ઉપર પણ અસર પહોંચી હતી.

મળેલી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે આ ભંગાણ સર્જાયું હતું. પાણીનો પ્રવાહ એટલો હતો કે જોતજોતામાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. પાણીના આ વેડફાટથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં સ્થાનિક મેહુલભાઈએ જણાવ્યું હતું કે, એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. તો બીજી તરફ આડેધડ કામગીરીના કારણે લાખો લીટર પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે. વહેલી તકે પાણીની લાઇન રિપેરિંગ કરવા માગ કરી છે.
પાણીની લાઇનમાં ભંગાણ પડતાં વિસ્તારમાં પાણી વિતરણ ઉપર અસર પડી શકે છે. જોકે, પાલિકાના પાણી પુરવઠા અધિકારી ધાર્મિક દવેએ જણાવ્યું હતું કે, પાણીની લાઇનનું લીકેજ બંધ કરવાની સૂચના આપી દેવામાં આવી છે.


