- ભરતીમેળામાં 10-12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા અને સ્નાતક થયા હોય અને વયે 18થી 35 વર્ષના હોય એવા યુવાનો ભાગ લઈ શકશે, દરેક ઉમેદવારને સમયસર હાજર રહેવા અપીલ
વડોદરા મોડલ કરિયર સેન્ટર, મદદનીશ નિયામક (રોજગાર) કચેરી અને સમસ્ત આદિવાસી સમાજ, ડભોઇના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે 31 મે, 2025ના રોજ સવારે 9 કલાકથી સતરગામ પટેલ સમાજની વાડી, યમુનાનગર, ડભોઇ ખાતે રોજગાર ભરતીમેળા અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ જિલ્લાના વિવિધ વિભાગોમાં રોજગારી તથા આત્મનિર્ભરતા માટે યુવાનોને સક્ષમ બનાવવાનો છે.
આ ભરતીમેળામાં ધોરણ 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા અને સ્નાતક થયા હોય અને વયે 18થી 35 વર્ષના હોય એવા યુવાનો ભાગ લઈ શકશે. ઉપરાંત, બોલી કે સાંભળવાની ક્ષતિ ધરાવતા મુક-બધિર તથા પગની દિવ્યાંગતા ધરાવતા અને સ્વતંત્ર હલન ચલન કરી શકતા દિવ્યાંગ ઉમેદવારોએ પણ આ મેળામાં ભાગ લેવાની તક છે.
આ મેળામાં વડોદરા જિલ્લાના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના 15થી વધુ નોકરીદાતાઓ દ્વારા લગભગ 550થી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લેવામાં આવશે અને રોજગારી તેમજ એપ્રેન્ટીસની તકો પ્રદાન કરવામાં આવશે. ઉપરાંત, લોન સહાય બાબતે તથા ઉદ્યોગસાહસિકતા, સ્ટાર્ટઅપ વિષયક માર્ગદર્શન, મફત વ્યાવસાયિક કૌશલ્ય તાલીમ, તેમજ સંરક્ષણ ભરતી પૂર્વેની 30 દિવસની નિવાસી તાલીમ અંગે પણ ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવશે. ઉમેદવારો ગુજરાત સરકારના અનુબંધમ પોર્ટલ તેમજ ભારત સરકારના નેશનલ કરિયર સર્વિસ (NCS) પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરી શકે તે માટે સ્થળ પર જ રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન પણ કરાયું છે.
રોજગાર કચેરીમાં પહેલેથી નોંધાયેલા એવા ઉમેદવારો, જેમને એસ.ટી. બસ માટે મફત મુસાફરી કૂપન આપવામાં આવ્યા છે, તેઓ આ કૂપનનો ઉપયોગ કરીને સ્થળ પર ઉપસ્થિત રહી શકે છે. દરેક ઉમેદવારને પાંચ નકલ બાયોડેટા સાથે કાર્યક્રમ સ્થળે સમયસર હાજર રહેવા દ્વારા અપીલ કરવામાં આવી છે.