કારેલીબાગ વિસ્તારની ખાનગી સ્કૂલમાં નોકરી કરતા એક શિક્ષકને સસ્તામાં એસી અપાવી વિશ્વાસમાં લીધા બાદ ભેજાબાજ જીતેન્દ્રસિંઘ રાજપૂરોહિતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રૂ.૨૬લાખનો ચૂનો ચોપડતાં શિક્ષકે પોલીસ ફરિયાદ કરી છે.
બીલ-કેનાલ રોડ પર પરમ સોસાયટીમાં રહેતા અને કારેલીબાગની ડીએપીએસ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા કૈલાસ ઉમેદસિંગ નેગીએ પોલીસને કહ્યું છે કે, મારા મિત્ર મારફતે રિચર્ડ ક્રિશ્રનનો સંપર્ક થયો હતો.રિચર્ડે મને ૫૦ હજારનું એસી ૩૯ હજારમાં અપાવતાં મારા સંપર્ક વધ્યા હતા. ત્યારબાદ મને મોબાઇલ લેવો હોવાથી રિચર્ડે જીતેન્દ્રસિંઘ માનકસિંઘ રાજપૂરોહિત (રહે. આદિત્ય એમ્પાયર, વાસણા-ભાયલીરોડ) સાથે સંપર્ક કરાવ્યો હતો.
શિક્ષકે કહ્યું છે કે, જીતેન્દ્રસિંઘે મને વિશ્વાસમાં લઇ ઓનલાઇન ફોન અપાવ્યો હતો અને ત્યારબાદ તેણે મારી પાસેના ક્રેડિટ કાર્ડની માહિતી મેળવી કાર્ડ મારફતે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એક કાર્ડ દિઠ મહિને રૂ.૫૦ હજાર કમાશો તેમ કહી ફસાવ્યો હતો.
તેણે મારા કાર્ડનો લાભ લઇ ૯.૯૬ લાખ જુદાજુદા ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને રૂ.૨.૯૯ લાખ રોકડા પણ લીધા હતા.આ ઉપરાંત તેણે મારા નામે પર્સનલ લોનો પણ લઇ કુલ રૂ.૨૬.૬૧ લાખની ઠગાઇ કરી છે.જેથી કારેલીબાગના પીઆઇ કે એ ચૌધરીએ તપાસ હાથ ધરી છે.


