વડોદરામાં 13 ઓગસ્ટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે, 6 કંપનીઓ ઇન્ટરવ્યુ લેશે

10 પાસથી ગ્રેજ્યુએટ સુધીના 18થી 35 વર્ષના પુરુષ અને મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે

MailVadodara.com - An-employment-and-apprenticeship-recruitment-fair-will-be-held-in-Vadodara-on-August-13-six-companies-will-conduct-interviews

- ભરતી મેળો સવારે 10 વાગ્યાથી તરસાલી ખાતે આવેલી આઈટીસી બિલ્ડિંગ, આઈટીઆઈ કેમ્પસમાં આવેલી મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરીના પ્રથમ માળે યોજાશે

મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અને મોડેલ કરિયર સેન્ટર, વડોદરા દ્વારા આગામી તા. 13 ઓગસ્ટ, 2026ના રોજ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતી મેળો સવારે 10 વાગ્યાથી તરસાલી ખાતે આવેલી આઈટીસી બિલ્ડિંગ, આઈટીઆઈ કેમ્પસમાં આવેલી મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરીના પ્રથમ માળે યોજાશે.

ભરતી મેળામાં ફેબ્રિકેશન ક્ષેત્રમાં ફિટર, ટર્નર અને વેલ્ડર, ટેકનિશિયન, સોલ્ડરિંગ, PCB રિપેરિંગ, ઇલેક્ટ્રોનિક સાધનોનું સમારકામ, એડમિન એક્ઝિક્યુટિવ, ઇલેક્ટ્રિશિયન, ગ્રાઇન્ડર, વાયરમેન, રિલેશનશિપ ઓફિસર અને રિલેશનશિપ મેનેજર સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ, સેલ્સ અને ઇન્શ્યોરન્સ ક્ષેત્રની 6 કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેશે. કુલ 130થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

ભરતી મેળામાં 10 પાસ, 12 પાસ, ITI, ડિપ્લોમા તેમજ B.Com, B.A. અને BBA જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા 18થી 35 વર્ષના પુરુષ અને મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારોને રોજગારની તકો ઉપરાંત વિદેશમાં રોજગાર અને અભ્યાસ માટેના સલામત તથા કાયદેસર માઇગ્રેશન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY), PM ઇન્ટર્નશીપ યોજના, લશ્કરી ભરતી પૂર્વેની 30 દિવસની મફત નિવાસી તાલીમ યોજના, મફત વોકેશનલ તાલીમ યોજના અને સ્વરોજગાર લોન સહાય યોજના અંગે તજજ્ઞો દ્વારા માહિતી આપવામાં આવશે.

ભરતી મેળા દરમિયાન સરકારી ઓનલાઈન જોબ પોર્ટલ અનુબંધમ તથા NCS પોર્ટલ પર ઉમેદવારોના નામ નોંધણી માટે કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રોજગાર અધિકારીની યાદી મુજબ, રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા/રેઝ્યુમની 5 કોપી સાથે ભરતી મેળાના સ્થળે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. ભરતી મેળામાં ભાગ લેવા કે પસંદગી પ્રક્રિયા માટે ઉમેદવાર અથવા નોકરીદાતા પાસેથી કોઈપણ પ્રકારની ફી કે ચાર્જ લેવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવા જણાવાયું છે.

Share :

Leave a Comments