- મકાન અપાવવાના બહાને વિશ્વાસ જીતી મકાન કે રૂપિયા આપ્યા વગર ઠગ હરીશ ચૌહાણ ઓફિસને તાળું મારીને ભાગી ગયો, ઠગે મકાન ખરીદનારને ખોટા દસ્તાવેજો પધરાવી દીધા
વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને 16 જેટલા લોકો પાસેથી 40.17 લાખ રૂપિયાની છેતરપીંડી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. ઠગ ઓફિસને તાળું મારીને ફરાર થઈ ગયો અને ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી ઠગ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
વડોદરા શહેરના ગોરવા-સુભાનપુરા વિસ્તારમાં સમતા રોડ ઉપર આવેલા વૈકુંઠ ફ્લેટમાં રહેતા વર્ષાબેન પાઠકે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી હરીશ જશુભાઈ ચૌહાણે મકાન અપાવવાના બહાને વિશ્વાસ જીત્યો હતો. પોતાની ઓફિસ મારફતે તેમણે પોતે વડોદરા મહાનગરપાલિકામાં એજન્ટ હોવાનો દાવો કરીને પ્રોસેસિંગ માટે રૂપિયાની માંગણી કરી હતી. જાન્યુઆરી 2025થી ઓક્ટોબર 2025 દરમિયાન આરોપીએ અલગ-અલગ તારીખે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા 1.83 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. આરોપીએ મકાન ફાળવણીના ખોટા કાગળો અને પાવતી આપી વધુ વિશ્વાસ કેળવ્યો હતો.
આરોપીએ ડિસેમ્બર 2025 સુધીમાં મકાન આપવાનો વાયદો આપ્યો હતો, પરંતુ સમય પસાર થયા છતાં મકાનનો કબજો ઠગ દ્વારા આપવામાં આવ્યો નહીં. ત્યારબાદ તેમણે અને તેમના પતિ સાથે ઠગની ઓફિસ પર પહોંચતા ઓફિસ બંધ હતી અને ફોન પણ ઉપાડતો ન હતો. જેથી તેમણે તપાસ કરી હતી. આ હરીશ ચૌહાણે અન્ય 15 લોકોના રૂપિયા લઇ લીધા હતા, પરંતુ મકાન અપાવ્યું ન હોવાનું બહાર આવ્યું હતું.
હરીશ ચૌહાણે 16 લોકોને આવાસ યોજનામાં મકાન અપાવવાનો ખોટો વાયદો કરીને તેમની પાસેથી રૂ. 40.17 પડાવી લીધા હતા અને મકાન ખરીદનારને ખોટા દસ્તાવેજો બનાવી પધરાવી દીધા હતા. વર્ષાબેન સહિત અન્ય 15 લોકોએ આરોપી હરીશ ચૌહાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.


