વડોદરાની એસ.એસ.વી. ટુ સ્કૂલની સ્કૂલ વેન પલટી મારતા 14 વિદ્યાર્થીને નાની-મોટી ઇજા

વાઘોડિયાથી વિદ્યાર્થીઓને લઈને વડોદરા આવતી સ્કૂલ વેન અચાનક પલટી મારતા અફરાતફરી મચી

MailVadodara.com - 14-students-of-Vadodaras-SSV-Two-School-suffer-minor-and-major-injuries-as-school-van-overturns

- ઈક્કો સ્કૂલવાન પલટી જતા વિદ્યાર્થીઓ બીકના કારણે બહાર નીકળી ગયા હતા, સ્કૂલ વેનનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું, ઘટનામાં કોઇ મોટી જાનહાનિ નહીં!

વડોદરાની એસ.એસ.વી. ટુ સ્કૂલની સ્કૂલ વેન પલટી મારતા 14 જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં સ્કૂલ વેનનું ટાયર ફાટતા સર્જાયો હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ વેન એકાએક પલટી મારતા વિદ્યાર્થીઓના જીવ તળાવે ચોંટયા હતા. જોકે, આ ઘટનામાં સામાન્ય નાની-મોટી ઇજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.


વડોદરા શહેરના સોમા તળવા વિસ્તારમાં આવેલી એસ.એસ.વી. ટુ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આજે સવારે અકસ્માત નડ્યો હતો. વાઘોડિયાથી વિદ્યાર્થીઓને લઈને વડોદરા આવી રહેલ સ્કૂલ વેન અચાનક પલટી મારતા અફરાતફરી મચી ગઈ હતી. વાઘોડિયાથી વિદ્યાર્થિનીઓને લઈ જતી ઈક્કો સ્કૂલવાન પલટી જતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા. પલટી મારતા જ વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા હતા અને નાની-મોટી સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બાદમાં વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

વડોદરાના વાઘોડિયા રોડ પર દત્તપુરા પેટ્રોલપંપ નજીક આ અકસ્માત સર્જાયો હતો. જેમાં 14 વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતને લઈ વાલીઓ ચિંતામાં મૂકાયા હતા અને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ સાથે સ્કૂલ સંચાલકો પણ સ્કૂલમાં દોડી આવ્યા હતા. આ ઘટનામાં સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે કારણ કે, ટાયર ઘણા સમયથી ખરાબ હોય તો જ આ પ્રકારની સ્થિતિ ઉદભવી શકે છે. આ ઘટનામાં સદ્દનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ જો વેન ઊંધી પડી હોત તો ચોક્કસ મોટી જાનહાનિ થાત. ત્યારે હવે સવાલ એ થાય છે કે નીતિ-નિયમોના ધજાગરા ઉડાવતા સ્કૂલ વેનચાલકો સામે આરટીઓ વિભાગ અને ટ્રાફિક વિભાગ શા માટે મૌન છે તે સૌથી મોટો સવાલ છે.

Share :

Leave a Comments