- 1.28 લાખ અરજદારોએ ઓનલાઇન અને 49 હજાર અરજદારોએ ઓફલાઇન મિલકત વેરો ભર્યો, ઓનલાઈનથી રૂા.117.70 કરોડ અને ઓફલાઇન રૂા. 39.54 કરોડ વેરો ભરાયો
વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના તા.15 જૂન સુધી લંબાવવામાં આવી હતી. જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કોર્પોરેશનને 156.81 કરોડની આવક થઈ ચૂકી છે.
આ અંગેની માહિતી આપતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરે જણાવ્યું હતું કે, અગાઉ એક માસ માટે તા.23 એપ્રિલથી તા.23 મે સુધી આ યોજના અમલમાં મૂકી હતી. આ યોજનાનો વધુ લોકો લાભ લઈ શકે તે માટે તા.23 મેના રોજ છેલ્લા દિવસે યોજનાનો સમય લંબાવીને 15 જૂન કરવાનો નિર્ણય લેવાયો હતો. તે સમયે કોર્પોરેશનને આશરે 134 કરોડની આવક મળી ચૂકી હતી. યોજનાની મુદત વધાર્યા બાદ 22 દિવસમાં આશરે 26 કરોડ આવક વધી છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરે વધુમાં જણાવ્યું હતું કે, આ યોજનામાં રહેણાક મિલકતનો એડવાન્સ વેરો ભરવા બદલ 10 ટકા અને કોમર્શિયલ મિલકતમાં 5 ટકા વળતર અપાયું છે. ઓનલાઈન વેરો ભરપાઈ કરીને એક-એક ટકો વધુ વળતર પણ લોકોએ મેળવ્યું છે. મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર, પાણીકર, કંઝરવંશી અને સુવેજ ટેક્સની રકમ પર વળતર અપાયું છે. શિક્ષણ ઉપકર, સફાઈ ચાર્જ અને એનવાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયું નથી. શહેરના અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે. ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક 807 કરોડ છે, જેની સામે અત્યાર સુધીમાં 156.81 કરોડ આવી ચૂક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1.28 લાખ અરજદારોએ ઓનલાઇન અને 49 હજાર અરજદારોએ ઓફલાઇન મિલકત વેરો ભર્યો છે. ઓનલાઈનથી રૂપિયા 117.70 કરોડ અને ઓફલાઇન રૂપિયા 39.54 કરોડ મળી કુલ આવક રૂપિયા 156.81 કરોડ વેરો ભરાયો છે.