- વડોદરા સહિત સ્ટેશનો પર હેલ્પ ડેસ્કમાં ભીડ, અપ-ડાઉન કરતા મુસાફરો સૌથી વધુ પરેશાન, શોર્ટ ટર્મિનેટ અને રદ સેવાઓથી અવરજવર ખોરવાઈ
ભારે વરસાદના કારણે પશ્વિમ રેલવેમાં ટ્રેન વ્યવહાર હજુ પણ સંપૂર્ણપણે સામાન્ય બન્યો નથી. રેક ઉપલબ્ધ ન હોવાના કારણે સુરત-વડોદરા મેમુ સહિતની કેટલીક ટ્રેનો આજે પણ રદ કરાઈ છે. બીજી તરફ દાદર- ભૂજ સયાજીનગરી એક્સપ્રેસ સહિતની અનેક ટ્રેનો ૧ થી ૧૧ કલાક મોડી દોડી રહી છે. આ ઉપરાંત, અમદાવાદ-વિરમગામ રેલવે સેક્શનમાં ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે કેટલીક લાંબા અંતરની ટ્રેનો પણ ભારે વિલંબથી દોડી રહી છે.
છેલ્લા ચાર દિવસથી સતત ટ્રેનો રદ થવી, શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ તેમજ વિલંબના કારણે હજારો મુસાફરો અટવાઈ પડયા છે. ખાસ કરીને રોજિંદા અપ-ડાઉન કરતા અને લાંબા અંતરની મુસાફરી કરનારા મુસાફરોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા સહિત પશ્વિમ રેલવેના વિવિધ સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક પર મુસાફરોનો ઘસારો યથાવત્ છે.


