- આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય તો ખાડામાં કાદવ-કીચડ અથવા ઉંડા પાણીના કારણે બાળકોના જીવ પર ગંભીર જોખમ સર્જાવાની ભીતિ
- શાળાની બહાર દિવાલ બનાવવા ખાડો ખોદવામાં આવ્યો!
ચોમાસામાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલી ખોદકામની કામગીરી અને અધૂરા રસ્તાના કામો જાહેર જનતા માટે અકસ્માતનું કારણ બની રહ્યા છે. વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડો.બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાની બહાર જ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આવી જ એક બેદરકારી સામે આવી છે.
શાળાની બહાર દિવાલ બનાવવાના હેતુથી ખાડો ખોદી દેવામાં આવ્યો છે. આ ખાડો શાળામાં અભ્યાસ અર્થે આવતા-જતા નાના ભુલકાઓ માટે ભારે અડચણરૂપ બની રહ્યો છે. ચોમાસા દરમિયાન જો મૂશળધાર વરસાદ પડે અને આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય તો ખાડામાં કાદવ-કીચડ અથવા ઉંડા પાણીના કારણે માસુમ બાળકોના જીવ પર ગંભીર જોખમ સર્જાવાની પૂરતી ભીતિ સેવાઈ રહી છે. તંત્રની કાર્યશૈલી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દિવાલ બનાવવાની આ કામગીરી ઉનાળાના લાંબા વેકેશન દરમિયાન જ પૂર્ણ કરી દેવાની જરૂર હતી. તેને બદલે બરાબર ચોમાસું શરૂ થતા જ ખોદકામ શરૂ કરવામાં આવ્યું અને ચાલુ વરસાદે આ કામગીરી અધવચ્ચે અટકાવી દેવામાં આવી છે. જો આ બેદરકારીના કારણે કોઈ બાળકના જીવ સાથે કોઈ અનિચ્છનીય બનાવ કે મોટી દુર્ઘટના ઘટે તો તેની જવાબદારી કોની રહેશે, તે એક વિકટ યક્ષ પ્રશ્ન બની ગયો છે.
હાલમાં પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે, શાળાના કર્મચારીઓ તથા શિક્ષકોએ પોતે આગળ આવીને પોતાના સ્તરે જોખમ ઘટાડવાનો પ્રયાસ કરવો પડી રહ્યો છે. શાળાના કર્મચારીઓ રોજે રોજ દરવાજા પર હાજર રહી બાળકોને સુરક્ષિત રીતે અંદર અને બહાર લઈ જવાની ફરજ બજાવી રહ્યા છે. વાલીઓ અને સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, તંત્ર તાત્કાલિક ધોરણે આ ઉંડા ખાડાનું કામ પૂર્ણ કરે અથવા તેને યોગ્ય રીતે પૂરી પૂરતી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરે, જેથી કોઈ અનિચ્છનીય અકસ્માત ટાળી શકાય.


