લગ્ન કરવા ઘરેથી નીકળેલી કિશોરીને તેનો બોયફ્રેન્ડ લેવા ન આવતા આખરે અભયમની મદદ લેવી પડી

સોશિયલ મીડિયા પર પ્રેમ કરવો અમદાવાદ ખાતે રહેતી 16 વર્ષની કિશોરીને ભારે પડ્યો

MailVadodara.com - A-teenage-girl-who-had-left-home-to-get-married-eventually-had-to-seek-help-from-Abhayam-after-her-boyfriend-failed-to-show-up-to-pick-her-up

- પ્રેમી લગ્ન કરવા માટે વાત કરતા વિશ્વાસમાં સગીરા પોતાનું ઘર છોડી વડોદરા સયાજીગંજ સિટી બસ સ્ટેન્ડ ખાતે આવી હતી, ફોન કરતા યુવકે ઓળખવાનો ઇનકાર કરી લેવા આવ્યો ન હતો

- અભયમે કાઉન્સેલિંગ કરી કિશોરીના પિતાને જાણ કરી આશ્રયગૃહમાં રાખવાની વ્યવસ્થા કરી

અમદાવાદ ખાતે રહેતી 16 વર્ષની સગીરાને સોશિયલ મીડિયા પરથી યુવક સાથે મિત્રતા બંધાઈ હતી, ત્યારે પ્રેમી લગ્ન કરવા માટે વાત કરતા વિશ્વાસમાં આવી ગયેલી સગીરા પોતાનું ઘર છોડી વડોદરા શહેરના સયાજીગંજ સિટી બસ સ્ટેન્ડ ખાતે આવી પહોંચી હતી. ત્યારબાદ તેણે ફોન કરતા યુવકે એને ઓળખવાનો ઇનકાર કર્યો હતો અને લેવા આવ્યો ન હતો.

લગ્ન કરવા ઘરેથી નીકળેલી કિશોરીને તેનો બોયફ્રેન્ડ લેવા ન આવતા આખરે અભયમની મદદ લેવી પડી હતી. કાઉન્સેલિંગ દરમિયાન સમગ્ર હકીકત સામે આવતા ટીમે કિશોરીને સમજાવી તેના પિતાને જાણ કરી આશ્રયગૃહમાં રાખવાની કાર્યવાહી કરી હતી.

વડોદરા શહેરના સયાજીગંજ સિટી બસ સ્ટેન્ડ પરથી એક જાગૃત નાગરિકે અભયમ 181 હેલ્પલાઇન પર ફોન કરી જાણ કરી હતી કે, એક કિશોરી તેના પરિવારથી અલગ પડી ગઈ છે. અભયમની ટીમ સ્થળ પર પહોંચી કિશોરીનું કાઉન્સેલિંગ કરતાં શરૂઆતમાં તેણે જણાવ્યું હતું કે, તે માતા-પિતા સાથે વડોદરા સંબંધીઓના ઘરે આવી હતી અને રેલવે સ્ટેશન પર પરિવારથી વિખૂટી પડી ગઈ છે. તેને પોતાના ઘરનું સરનામું કે માતા-પિતાનો મોબાઇલ નંબર પણ યાદ નહોતો.

કિશોરી 11મા ધોરણમાં અભ્યાસ કરતી હોવાથી ટીમને તેની વાત પર શંકા જતાં વધુ પૂછપરછ કરવામાં આવી હતી. તેણે ભાઈનો મોબાઇલ નંબર યાદ હોવાનું જણાવી નંબર આપ્યો હતો, પરંતુ તે નંબર પર સંપર્ક કરતાં સામેવાળી વ્યક્તિએ કિશોરીને ઓળખવાનો ઇનકાર કરી ફોન બંધ કરી દીધો હતો, ત્યારબાદ અભયમની ટીમે શાંતિપૂર્વક સમજાવટ અને વિશ્વાસમાં લઈ ફરી વાત કરતાં કિશોરીએ સાચી હકીકત જણાવી હતી.

તેણે જણાવ્યું કે, તે અમદાવાદની રહેવાસી છે અને છેલ્લા ત્રણ વર્ષથી પિતાના મોબાઇલમાં સ્નેપચેટનો ઉપયોગ કરતી હતી. આ દરમિયાન તેની એક યુવક સાથે મિત્રતા થઈ હતી, જે બાદ બંને લગ્ન કરવા ઇચ્છતા હતા. બે મહિના પહેલાં આ સંબંધની જાણ પરિવારને થતાં માતા-પિતાએ ઠપકો આપ્યો હતો. ત્યારબાદ યુવકે તેને ઘરેથી નીકળી આવવા કહ્યું હતું. જેથી તે સ્કૂલે જવાનું કહી ઘરેથી નીકળી વડોદરા આવી હતી. જોકે, અહીં પહોંચ્યા બાદ યુવકે તેને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો.

અભયમની ટીમે કિશોરીને હાલ ભણવાની ઉંમર હોવાનું સમજાવી આવી રીતે કોઈના કહેવા પર ઘર છોડવું જોખમી હોવાનું જણાવ્યું અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા સલાહ આપી હતી. ત્યારબાદ કિશોરીના પિતાનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. પિતા અમદાવાદથી વડોદરા આવવા નીકળ્યા હોવાથી ત્યાં સુધી કિશોરીને સુરક્ષિત રીતે આશ્રયગૃહમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Share :

Leave a Comments