- બરોડા ડેરી પાસે બોલાવી છાતીમાં પાંચથી છ ઘા ઝીંક્યા હતા, 100થી વધુ CCTVથી પોલીસને કડી મળી
- આરોપીઓએ ગુનાના પુરાવાનો નાશ કરવાના લાશ અને મોબાઈલ જામ્બુવા બાયપાસ પાસે અવાવરૂ જગ્યાએ ફેંકી મૃતક વાપરતા હતા તે ઓટો રિક્ષા છાણી કેનાલ પાસે મૂકીને નાસી છૂટ્યા હતા
વડોદરાની મકરપુરા પોલીસ સ્ટેશન હદમાં લોન હપ્તાની અદાવતમાં આધેડની લોખંડના સળિયાથી કરપીણ હત્યા કરી લાશ ફેંકી દેવાઈ હતી. આ સમગ્ર મામલે હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે મૃતકની પુત્રીની ફરિયાદના આધારે આરોપી પતિ-પત્ની સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
શહેરના અંબેડકર નગર, એકતા નગર, આજવા રોડ પર રહેતા રમેશભાઈ ગણપતરાવ પવાર થોડા દિવસો પહેલા રિક્ષા લઈને ઘરથી નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી આપવામાં આવી હતી. દરમિયાન, મકનપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જામ્બુવા બાયપાસ, સતીમાતા હોટેલ આગળ અવાવરૂ જગ્યાએથી રમેશભાઈની ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી આવતા આખો મામલો હત્યામાં પરિણમ્યો હોવાનું સામે આવ્યું હતું.
તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે મૃતક રમેશભાઈ સાથે નોકરી કરતી આરોપી પૂજા હિમાંશુ ખડસે અને તેના પતિ હિમાંશુ જગદીશ ખડસે (રહે. બાવરી કુંભારવાડા, પ્રતાપનગર, વડોદરા) સાથે રમેશભાઈના નામે લીધેલા લોનના હપ્તાના રૂપિયા ભરવા બાબતે અદાવત ચાલી રહી હતી. આ જ બાબતની દાઝ રાખીને આરોપીઓએ અગાઉથી સુચારૂ કાવતરું રચ્યું હતું અને રાત્રિના સુમારે રમેશભાઈને બરોડા ડેરી પાસે બોલાવ્યા હતા.
![]()
આરોપીઓએ રાત્રિના અંધારામાં સુલભ શૌચાલય પાસે મૃતક રમેશભાઈને છાતીના ભાગે લોખંડના સળિયા (ટોમી) વડે પાંચથી છ ઘા ઝીંકીને સ્થળ ઉપર જ મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ ગુનાના પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેમની લાશ અને મોબાઈલ ફોન જામ્બુવા બાયપાસ પાસે અવાવરૂ જગ્યાએ ફેંકી દીધા હતા તેમજ મૃતક વાપરતા હતા તે ઓટો રિક્ષા છાણી કેનાલ પાસે મૂકીને નાસી છૂટ્યા હતા. આ ગંભીર ગુના અંગે મૃતકની પુત્રીની ફ્રિયાદના આધારે મકનપુરા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસે પતિ પત્ની સહિતના બે આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ અને હત્યાના કેસનો પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. મૃતક 54 વર્ષીય રમેશભાઈ પવાર એક પ્રાઇવેટ સ્કૂલ બસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે તેમની સાથે બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતી પૂજાબેન ખડસે અને તેના પતિ હિમાંશુ ખડસે આ હત્યાકાંડના મુખ્ય આરોપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ગત 7 તારીખની રાત્રે પૂજાબેન પોતાના પતિ હિમાંશુ અને રમેશભાઈ પવારને વડોદરા ડેરી પાસે મળવા બોલાવ્યા હતા. પૂજાબેને રમેશભાઈના નામે લોન લીધી હતી અને રમેશભાઈ તે લોનના હપ્તા (EMI) ભરવા માટે પૈસાની માંગણી કરતા હતા, પરંતુ પૂજાબેન સમયસર પૈસા ન આપતા હોવાથી બંને વચ્ચે વિવાદ અને ઉગ્ર ચર્ચા થઈ હતી. આ તણાવ દરમિયાન હિમાંશુ બસમાં રહેલા લોખંડના સળિયાથી રમેશભાઈની છાતીના ભાગે ગંભીર પ્રહાર કર્યો હતો, જેના કારણે ઇન્ટરનલ ઇન્જરી થવાથી રમેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ ગુનાને છુપાવવા માટે આરોપીઓએ મૃતદેહને બાઇક પર લઈ જઈને જાંબુવા પાસે હાઇવે પર ફેંકી દીધો હતો. મકરપુરા પોલીસે આ બનાવને લઈ 100થી વધુ સીસીટીવી ફૂટેજ, સીડીઆર (CDR) અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. પોલીસે સતત તપાસ અને કડીથી કડી જોડીને આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.


