- શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન, આગ માત્ર સર્વર રૂમ પૂરતી સીમિત રહી
વડોદરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પલેક્ષની સામે આવેલી યશ બેંકમાં આગનો બનાવ સામે આવતા અફરાતફરી મચી ગઈ હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

આમ્રપાલી બિલ્ડિંગની સામે આવેલી યસ બેંકમાં આગ લાગવાની ઘટના અંગે ફાયર બ્રિગેડના કર્મીએ જણાવ્યું હતું કે, તેમને કોલ મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બેંકના સર્વર રૂમમાં ભીષણ આગ લાગી હતી, જેને ફાયર જવાનોએ અંદર પ્રવેશ કરીને એક્સિંગ્વિશરની મદદથી સફળતાપૂર્વક ઓલવી નાખી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે કોઈને નુકસાન થયાના અહેવાલ નથી અને આગ માત્ર સર્વર રૂમ પૂરતી જ સીમિત હતી.
આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે, કારણ કે સર્વર રૂમમાં આખી ઇલેક્ટ્રોનિક પેનલો આવેલી હોય છે. વધુમાં, બેંકમાં પ્રોપર વેન્ટિલેશન ન હોવાને કારણે ધુમાડો વધુ પ્રમાણમાં ફેલાયો હતો. ફાયર ટીમની સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.


