- રૂ.1 લાખનું ટોપઅપ બાદ 20 લાખની લોન મંજૂર થશેની લાલચ આપી યુવક પાસેથી 13 લાખથી વધુ રકમ ટ્રાન્સફર કરાવી હતી, બજાજ ફાઈનાન્સની ઓફિસમાં ખરાઈ કરતા NOC બોગસ નીકળી
વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તારમાં રહેતા એન્જિનિયર સાથે લોન અપાવવાની લાલચ આપી રૂ.18.38 લાખની છેતરપિંડી થઈ હતી. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. લોન સેટલમેન્ટ અને ક્લોઝરના બહાને અલગ-અલગ બેંક ખાતામાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.
યુવકને વર્ષ 2024થી બજાજ ફાઈનાન્સની લોન લીધી હતી. માર્ચ 2026માં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ટોપઅપ કરાવવાથી વ્યાજદર ઘટાડી આપવાની વાત કરાઈ હતી. બાદમાં અમન શર્મા અને અનીલ પ્રસાદ નામના શખ્સોએ બજાજ ફાઈનાન્સના કર્મચારી તરીકે વાતચીત કરી હતી. રૂ.1 લાખનું ટોપઅપ કરાવ્યા બાદ રૂ.20 લાખની લોન મંજૂર થશે તેમ જણાવી જરૂરી પ્રક્રિયા કરાવવામાં આવી હતી. થોડા સમય બાદ ફરિયાદીના ખાતામાં રૂ.20 લાખ જમા થયા હતા, જેમાંથી આરોપીઓએ રૂ.15 લાખ બજાજ ફાઈનાન્સની એપ્લિકેશનમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.
ત્યારબાદ વધારાના રૂ.5 લાખ પરત આપવાના બહાને અલગ-અલગ બેંક ખાતામાં કુલ રૂ.5 લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા અને 2 એપ્રિલે ઇ-મેલ મારફતે રકમ મળી ગયાની રસીદ પણ મોકલવામાં આવી હતી. જોકે, લોન સેટલમેન્ટ ન થતાં ફરિયાદીએ લોન બંધ કરવાની માંગ કરી હતી. આરોપીઓએ લોન ક્લોઝ કરવા ચાર્જ ભરવો પડશે તેમ કહી બજાજ ફાઈનાન્સના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવાથી ચાર્જ નહીં લાગે તેવી વાત કરી હતી. આ રીતે જુલાઈથી ઓગસ્ટ 2026 દરમિયાન ફરિયાદી પાસેથી અલગ-અલગ ખાતામાં કુલ રૂ.13,38,550 ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.
લોન બંધ ન થતાં ફરિયાદીએ આરોપીઓ પાસે વારંવાર પૂછપરછ કરી હતી. દરમિયાન 17 ઓગસ્ટે બજાજ ફાઈનાન્સના નામે NOC મોકલવામાં આવી હતી અને ત્યારબાદ 3 સપ્ટેમ્બરે કંપનીના સ્ટેમ્પવાળી વધુ એક NOC મોકલાઈ હતી. શંકા જતા ફરિયાદીએ બજાજ ફાઈનાન્સની ઓફિસમાં જઈ દસ્તાવેજોની ખરાઈ કરાવતા બંને NOC કંપની દ્વારા જારી કરાયા ન હોવાનું સામે આવ્યું હતું. જેથી સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ કુલ રૂ.18,38,550ની ઠગાઈ થઈ છે. સાયબર ક્રાઈમ પોલીસે અમન શર્મા સહિતના શખ્સોના મોબાઇલ નંબર, ઇ-મેલ આઈડી, બેંક ટ્રાન્ઝેક્શન અને બનાવટી NOC સહિતના પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે.


