તરસાલી ITIમાં 17 સપ્ટેમ્બરે રોજગાર-એપ્રેન્ટિસ ભરતી મેળો, 1,500થી વધુ જગ્યાએ પસંદગી કરાશે

4 જિલ્લાના ઉમેદવારો માટે રોજગારની મોટી તક, 35થી વધુ કંપનીઓ ભાગ લેશે

MailVadodara.com - Employment-and-apprenticeship-recruitment-fair-at-Tarsali-ITI-on-September-17-over-1500-vacancies-to-be-filled

- 10 પાસથી એન્જિનિયરિંગ-મેડિકલ લાયકાત ધરાવનાર ભાગ લઈ શકશે

- 18થી 35 વર્ષના ઉમેદવારો વિવિધ લાયકાત સાથે ભાગ લઈ શકશે, પસંદગી પ્રક્રિયામાં કોઈ ફી કે ચાર્જ નહીં

વડોદરા શહેરમાં 17 સપ્ટેમ્બરના રોજ 4 જિલ્લાનો ક્લસ્ટર કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળો સવારે 9 વાગ્યાથી આઈટીઆઈ કેમ્પસ, તરસાલી, વડોદરા ખાતે યોજાશે. જેમાં 35થી વધુ કંપનીઓ દ્વારા સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ, ફાર્મા, સેલ્સ, હોસ્પિટલ અને ઈન્સ્યોરન્સ ક્ષેત્રની 1500થી વધુ જગ્યાઓ માટે ઉમેદવારોની ઈન્ટરવ્યૂ અને પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે.

કંપનીઓ દ્વારા બ્રાંચ ઓફિસર, એક્ઝિક્યુટિવ, પ્રોડક્શન સુપરવાઈઝર, ક્વોલિટી ચેકર, ક્વોલિટી કન્ટ્રોલર, પ્રોડક્શન આસિસ્ટન્ટ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર મેનેજર (સેલ્સ એન્ડ માર્કેટિંગ), ટીમ લીડર, ટૂલ રૂમ ઓપરેટર, સિનિયર ઈલેક્ટ્રોનિક એન્જિનિયર, ઈલેક્ટ્રોનિક એન્જિનિયર, સેલ્સ એક્ઝિક્યુટિવ, કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ, પ્રોડક્શન ઓપરેટર, ફ્રન્ટ ડેસ્ક ઓપરેટર, ફિલ્ડ સ્ટાફ, રિલેશનશિપ મેનેજર, આસિસ્ટન્ટ પરચેઝ, ઓપરેટર, ગેસ્ટ સર્વિસ એજન્ટ, ટેલીકોલર, અકાઉન્ટન્ટ, કાઉન્ટર સેલ્સ, રૂમ બોય, કલેક્શન ઓફિસર અને ફિલ્ડ એક્ઝિક્યુટિવ સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

ભરતી મેળામાં ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, તમામ ITI ટ્રેડ, ડિપ્લોમા (મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, કેમિકલ, E.C., ઈન્સ્ટ્રુમેન્ટ, એગ્રીકલ્ચર), B.Com, M.Com, B.Pharm, M.Pharm, BBA, MBA, B.Sc., M.Sc. કેમિસ્ટ્રી, B.E. (મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઈન્સ્ટ્રુમેન્ટ), ANM, GNM, B.R.S., M.R.S. અને M.S.W. જેવી લાયકાત ધરાવતા 18થી 35 વર્ષના સ્ત્રી-પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે. સ્વતંત્ર રીતે હલનચલન કરી શકતા તેમજ બોલવા-સાંભળવામાં ક્ષતિ ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોને પણ ભરતી મેળામાં ભાગ લેવાની તક આપવામાં આવશે.

રોજગારની તકો ઉપરાંત ઉમેદવારોને વિદેશમાં રોજગાર અને અભ્યાસ માટે સેફ તથા લીગલ માઈગ્રેશન, ફ્રી વોકેશનલ સ્કિલ, સ્વરોજગાર લોન સહાય યોજના તેમજ રોજગારલક્ષી અનુબંધમ અને NCS પોર્ટલ પર નોંધણી અને તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

રસ ધરાવતા ઉમેદવારોએ ભરતી મેળાના સ્થળે બાયોડેટા/રેઝ્યુમની 5 કોપી સાથે પોતાના ખર્ચે હાજર રહેવાનું રહેશે. ભરતી મેળાના આયોજન અને પસંદગી પ્રક્રિયા માટે ઉમેદવાર કે નોકરીદાતાએ કોઈપણ પ્રકારની ફી કે ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. તેમજ રોજગાર કચેરીમાં નોંધણી કરાવેલા ઉમેદવારોને ભરતી મેળામાંથી પરત ઘરે જવા માટે ST કૂપન પણ આપવામાં આવશે, જેની ખાસ નોંધ લેવા મદદનીશ નિયામક (રોજગાર)ની યાદીમાં જણાવાયું છે.

Share :

Leave a Comments