- મુખ્ય માર્ગો ઉપરાંત આંતરિક વિસ્તારોમાં પણ અનેક સ્થળોએ વરસાદી કાંસ અને ગટરના ઢાંકણાં તૂટેલી હાલતમાં, લેવલ વગરના અને તૂટેલા ઢાંકણાંથી વાહનચાલકો પર જોખમ
વડોદરા શહેરમાં ચોમાસાની સિઝન શરૂ થઈ છે ત્યારે રસ્તાઓ પર અનેક જગ્યા પર તૂટેલા અને લેવલ વગરના વરસાદી તેમજ ડ્રેનેજના ઢાંકણાંનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. મુખ્ય માર્ગો ઉપરાંત આંતરિક વિસ્તારોમાં પણ અનેક સ્થળોએ વરસાદી કાંસ અને ગટરના ઢાંકણાં તૂટેલી હાલતમાં અથવા રસ્તાની સપાટીથી નીચે-ઉપર હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ ઊભું થાય છે.

વરસાદ દરમિયાન માર્ગ પર પાણી ભરાઈ જતાં તૂટેલા કે ખુલ્લા ઢાંકણાં નજરે પડતા નથી. પરિણામે વાહનચાલકો તેમજ રાહદારીઓ અકસ્માતનો ભોગ બનવાની ભીતિ રહે છે. આ મુદ્દે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે અને તાત્કાલિક સમારકામ કરવાની માગ ઉઠી રહી છે.
દરમિયાન આજે વધુ એક ફરિયાદ શહેરના અલકાપુરી ગરનાળામાંથી સામે આવી છે. શહેરના સૌથી વધુ અવરજવર ધરાવતા વિસ્તારોમાં ગણાતા આ ગરનાળામાં છેલ્લા કેટલાક દિવસથી ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં પડ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં રાહદારીઓ અને વાહનચાલકો અહીંથી પસાર થતા હોવાથી કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ છે. ચોમાસાના દિવસોમાં આ સ્થળે પાણી ભરાઈ જતાં તૂટેલું ઢાંકણું દેખાશે નહીં, જેથી તાત્કાલિક ગટરનું ઢાંકણું નાંખવા માગ કરી છે.


