માંજલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર સતીશ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું, સંગઠને જંગી જીતનો દાવો કર્યો

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું

MailVadodara.com - BJP-candidate-Satish-Patel-filed-his-nomination-papers-for-the-Manjalpur-seat

- વિજય વિશ્વાસ રેલી સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા, નેતાઓ અને કાર્યકરો રહ્યા હાજર

- જગદીશ વિશ્વકર્માએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું, 25 હજાર નોટબુક વિદ્યાર્થીઓને અપાશે

- ભાજપ આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પી, કાર્યકરોને વધુ મતદાન માટે અપીલ કરાઈ

વડોદરા શહેરની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર સતિષ પટેલે આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સમયે પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. એ પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


ભાજપે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે સતીશ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું સંગઠન દ્વારા 25 હજાર નોટબુક ભેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ નોટબુકો માંજલપુર વિધાનસભા વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે.

કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રીઓ, શહેર ભાજપ પ્રમુખ, સાંસદ, ધારાસભ્યો, વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. સ્વર્ગસ્થ ધારાસભ્ય યોગેશ પટેલના પુત્ર રાકેશ પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સ્વ. યોગેશ પટેલને આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

માંજલપુર બેઠકના ભાજપના ઉમેદવાર સતીશ પટેલે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, માંજલપુર બેઠક પર ભાજપનો જંગી બહુમતીથી વિજય નિશ્ચિત છે. તેમણે કહ્યું કે પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવી સ્વ. યોગેશ પટેલને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. સાથે જ કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થાય તે માટે કાર્યકરોને વધુમાં વધુ મતદાન કરાવવા અપીલ કરી હતી.

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સ્વ. યોગેશ પટેલ સ્પષ્ટ વક્તા અને હંમેશા પ્રજાની વચ્ચે રહી લોકોના પ્રશ્નો માટે લડનારા લોકપ્રિય જનપ્રતિનિધિ હતા. તેમણે ઉમેર્યું કે મહાશિવરાત્રિની શિવજી કી સવારીની ઓળખ અને પરંપરા કાયમ જાળવવાની છે. માંજલપુર વિધાનસભામાં ભાજપ સતત ભવ્ય વિજય મેળવતું આવ્યું છે અને આ વખતે પણ વિજય નિશ્ચિત છે. જોકે માત્ર જીત નહીં, પરંતુ સ્વ. યોગેશ પટેલને શોભે તેવી લીડ અને વધુમાં વધુ મતદાન થાય તે માટે કાર્યકરોએ તન-મનથી મહેનત કરવી જોઈએ. તેમણે આ પેટા ચૂંટણીને યાદગાર બનાવવા અપીલ કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 1990થી લઈને સતત 8 વખત સુધી સ્વ. યોગેશ પટેલને જનતાનું સમર્થન મળ્યું હતું. સેવા અને સમર્પણના ભાવ સાથે તેમણે વડોદરાની સેવા કરી હતી. સતીશ પટેલ પણ પાયાના કાર્યકર્તા તરીકે સંગઠનની અનેક જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે. યોગેશ પટેલે જે રીતે જનતાના પ્રશ્નોને વાચા આપી હતી, તે જ પરંપરાને સતીશ પટેલ આગળ વધારશે. વધુમાં વધુ મતદાન કરી સતીશ પટેલને જંગી લીડથી વિજયી બનાવી સ્વ. યોગેશ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવા તેમણે અપીલ કરી હતી.

કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ભાજપના ઉમેદવાર સતીશ પટેલ પ્રદેશ ભાજપ પ્રમુખ અને આગેવાનોની હાજરીમાં વિજય વિશ્વાસ રેલી સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે રવાના થયા હતા અને ભાજપના ઉમેદવાર સતિષ પટેલે વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Share :

Leave a Comments