માંજલપુરમાં કામ ફાવતું ન હોવાથી પરેશાન યુવક બ્રિજ પરથી કૂદવા પહોંચ્યો, લોકોએ રેલિંગ પરથી નીચે ઉતાર્યો

દરબાર ચોકડી બ્રિજ પર યુવક આત્મહત્યાનો પ્રયાસ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

MailVadodara.com - A-troubled-youth-in-Manjalpur-jumped-off-a-bridge-due-to-lack-of-work-but-people-pulled-him-down-from-the-railing

- પી.ઓ.પી.નું કામ શીખવા માટે લખનઉથી વડોદરા આવ્યો હતો, જોકે કામ ફાવતું ન હોવાથી તે માનસિક તણાવમાં હતો, કાઉન્સેલિંગ બાદ કોન્ટ્રાક્ટરે યુવકને ટ્રેન મારફતે ઘરે રવાના કર્યો

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા દરબાર ચોકડી બ્રિજ પર એક યુવક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વીડિયોમાં યુવક બ્રિજ પરથી કૂદવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. જ્યારે આસપાસ હાજર લોકો તેને રોકવા અને સમજાવવાના પ્રયાસો કરતા નજરે પડ્યા હતા. આ ઘટનાને પગલે માંજલપુર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.


ઘટનાસ્થળે હાજર લોકોએ યુવકને શાંતિથી સમજાવી તેને આ પગલું ભરતા અટકાવવાના પ્રયાસો કર્યા હતા. કેટલાક લોકોએ વાતચીત કરીને તેને બ્રિજની રેલિંગ પરથી નીચે ઉતાર્યો હતો અને માંજલપુર પોલીસને સોંપ્યો હતો. પોલીસે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું.

ACP પ્રણવ કટારીયાએ જણાવ્યું હતું કે, બુધવારે (24 જૂન) મોડી રાત્રે માંજલપુર દરબાર ચોકડી બ્રિજ પાસે એક સચિન ચૌહાણ નામનો વ્યક્તિ આવતા-જતા વાહનોને રોકવાનો પ્રયત્ન કરતો હતો. ત્યાંથી પસાર થતા રાહદારીઓએ તેને આ અંગે પૂછતાં તે કંઈક વિચિત્ર વર્તન કરી રહ્યો હતો. જેથી રાહદારીઓ તેને સુરક્ષા ખાતર પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા.

પોલીસ સ્ટેશન ખાતે તે વ્યક્તિનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે. જેમાં જાણવા મળ્યું કે તે પી.ઓ.પી.નું કામ શીખવા માટે લખનઉથી વડોદરા આવ્યો હતો. તે મકરપુરા ખાતે રહેતા કોન્ટ્રાક્ટર આનંદ પ્રજાપતિ પાસે આ કામ શીખી રહ્યો હતો. અમે આ બાબતે તેના કોન્ટ્રાક્ટરને પોલીસ સ્ટેશન બોલાવીને તપાસ કરી હતી.

કોન્ટ્રાક્ટર દ્વારા જાણવા મળ્યું કે, સચિનને અહીં કામ ફાવતું ન હતું, જેના કારણે તે ખૂબ જ ફ્રસ્ટ્રેટેડ થઈ ગયો હતો. તેની આ પરિસ્થિતિને કારણે જ તે બ્રિજ પર આવું વર્તન કરીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતો હોય તેવું લાગ્યું હતું. ત્યારબાદ સચિનને પૂછતાં તેણે પણ જણાવ્યું કે તેને હવે તેના ઘરે પરત જવું છે.


તેઓએ વધુમાં કહ્યું હતું કે, સચિનની ઈચ્છા મુજબ, તેના કોન્ટ્રાક્ટરે ગુરૂવાર સવારે જ તેને ટ્રેન દ્વારા તેના વતન લખનઉ જવા માટે રવાના કરી દીધો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, પરંતુ હું મીડિયા મિત્રો અને જનતાને સ્પષ્ટ કરવા માંગું છું કે આ સમગ્ર બનાવમાં કોઈ પણ પ્રકારનું ગુનાહિત કૃત્ય બનેલ નથી. આ માત્ર એક વ્યક્તિની માનસિક હતાશાને કારણે બનેલી ઘટના હતી, જેનો સુખદ અંત આવ્યો છે.

Share :

Leave a Comments