- ચીન તરફથી કૈલાસ માનસરોવર અને ચીન પ્રવાસ માટે કોર્પોરેશનને આમંત્રણ અપાયું
- બંને દેશો વચ્ચે વેપાર વધારવા ચર્ચા, સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રે પણ જોડાણની પહેલ
ચીનના પ્રતિનિધિમંડળે આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ચીન અને ભારત વચ્ચેના આર્થિક તથા વેપારી સંબંધોને વધુ મજબૂત બનાવવા અને બંને દેશો વચ્ચે ઇકોનોમિક ટ્રેડ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન ચીનના પ્રતિનિધિમંડળે વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને કૈલાસ માનસરોવર યાત્રા માટે મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. સાથે જ ચીનની મુલાકાત માટે પણ વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
બીજી તરફ વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરાની આગવી ઓળખ સમા નવરાત્રી મહોત્સવમાં ચીનના પ્રતિનિધિમંડળને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રતિનિધિમંડળને સયાજીનગરી વડોદરાની સંસ્કૃતિ અને શહેરની આગવી ઓળખ અંગે માહિતી આપવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મેયર ગીતાબેન મકવાણા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિત કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


