- મકરપુરા પોલીસે સ્થળ પર પહોંચી વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં SSG હોસ્પિટલ ખસેડ્યો હતો
- આપઘાતને લઈ પરિવાર અને સંબંધિત લોકોની પૂછપરછ કરાઇ
વડોદરા શહેરમાં રહેતા બિઝનેસમેનની ધોરણ-10માં અભ્યાસ કરતી 15 વર્ષીય પુત્રીએ આપઘાત કર્યો છે. આજે 19 સપ્ટેમ્બરના બપોરના સમયે સ્કૂલેથી પરત આવીને વિદ્યાર્થિની પાંચ માળની ઈમારતના ટેરેસ પરથી કૂદી ગઈ હતી. ક્યાં કારણોસર આપઘાત કર્યો તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે તેના પિતા એન્જિનિયરિંગના વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
વિદ્યાર્થિની વડસર બ્રિજ પાસેની જય અંબે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ત્યારે આજે સવારે 6.10 વાગ્યે રાધે રેસિડેન્સીમાં પોતાના ઘરેથી સ્કૂલ બસમાં જ સ્કૂલે જવા નીકળી હતી. જે બાદ સ્કૂલેથી 11 વાગ્યાની આસપાસ ઘરે પહોંચી હતી. ઘરે પહોંચીને તરત જ વિદ્યાર્થિનીએ પાંચમા માળના ટેરેસ પર પહોંચીને છલાંગ લગાવી દીધી હતી. માથામાં ગંભીર ઈજાઓ થતા વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
કૂદીને વિદ્યાર્થિની નીચે પડી હોવાથી જોરદારનો અવાજ આવ્યો હતો. જેના કારણે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પરિવારજનો પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. તો આ તરફ મકરપુરા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં SSG હોસ્પિટલ ખસેડ્યો હતો.
આ રહસ્યમય આપઘાતને પગલે પરિવારજનો સહિત લોકોમાં અનેક તર્કવિતર્ક શરૂ થયા છે. કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પરંતુ પોલીસે પરિવારજનો અને સંબંધિત લોકોની પૂછપરછ હાથ ધરી છે. આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે.


