- જરોદ રેફરલ હોસ્પિટલમાં હર્ષ અને રોશનનો મૃતદેહ જોઇ પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો, જરોદ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
પાવાગઢ દર્શન કરીને બપોરે બાઇક ઉપર પરત ફરી રહેલા બે પીતરાઇ ભાઈઓને વડોદરા-હાલોલ રોડ ઉપર ભણિયારા ગામ પાસે સર્વિસ રોડ ઉપર પસાર થઈ ટેન્કરે અડફેટમાં લેતા બંનેના સ્થળ ઉપર કરુણ મોત નિપજ્યાં હતા. બંને યુવાનો ઉપર ટેન્કરના તોતીંગ પૈડાં ફરી વળ્યા હતા. આ બનાવ અંગે જરોદ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે શહેરના મુજમહુડા ગામમાં રહેતા જગદીશભાઈ જેસીંગભાઇ ફુલમાલીનો 23 વર્ષીય પુત્ર હર્ષ તેમના સાળીના છાણી ભાથુજી મંદિર પાસે રહેતા 17 વર્ષના પુત્ર રોશન ઈશ્વરભાઈ માલી તેમજ અન્ય એક સાળીનો પુત્ર વિકાસ અશોકભાઈ માલી તેની પત્ની હેનિષાબેન અલગ-અલગ મોટર સાઇકલ લઈને વહેલી સવારે પાવાગઢ દર્શન કરવા માટે ગયા હતા.
પાવાગઢ માતાજીના દર્શન કરીને બપોરે તેઓ પોતાની અલગ અલગ બાઈક ઉપર પરત ફરી રહ્યા હતા. જેમાં હર્ષ માલી અને રોશન માલી વડોદરા આવવા માટે આગળ નીકળી આવ્યા હતા. દરમિયાન ભણીયારા ગામ પાસે સર્વિસ રોડ ઉપર પુરપાટ પસાર થઈ રહેલી ટેન્કરે તેઓની બાઇકને અડફેટમાં લીધા હતા. બે કાબુ ટેન્કરના બંને ઉપર ફરી વળતા તેઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.
હર્ષ અને રોશનની પાછળ પત્ની સાથે આવી રહેલા વિકાસે પોતાની બાઈક રસ્તા ઉપર ટોળું જોઈને ઊભી કરી દીધી હતી અને ટ્રાફિક જામ હોવાથી સ્થળ પર જતા તેને હર્ષ અને રોશનનો લોહીથી લથબથ મૃતદેહો જોઈ ચોકી ઉઠ્યો હતો. દરમિયાન બંનેના મૃતદેહને 108 એમ્બ્યુલન્સ બોલાવીને જરોદ રેફરલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. બીજી બાજુ તેને આ બનાવની જાણ પોતાના માસા જગદીશભાઈ માલીને કરતા જગદીશભાઈ તેમની પત્ની સહિત અન્ય પરિવારજનો સાથે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
જરોદ રેફરલ હોસ્પિટલમાં હર્ષ અને રોશનનો મૃતદેહ જોઇ પરિવારજનોએ રોકકળ શરૂ કરી દીધી હતી. પરિવારજનોના હૈયાફાટ રુદને જરોદ રેફરલ હોસ્પિટલમાં સન્નાટો પાથરી દીધો હતો. આ બનાવ અંગેની જાણ જરોદ પોલીસને કરવામાં આવતા જરોદ પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પૂરી કરી મૃતદેહો પરિવારજનોને અંતિમ વિધિ માટે સોંપ્યા હતા.