- તાજેતરમાં જોય ટ્રેનની અડફેટે બાળકીનું મોત નીપજતા તાત્કાલિક જોય ટ્રેન બંધ કરાઇ હતી
વડોદરા શહેરના કમાટીબાગ ખાતે જોય ટ્રેનના તમામ ખુલ્લા ટ્રેક આસપાસ તંત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે આખરે ગ્રીલ લગાવવામાં આવી રહી છે. વર્ષોથી રેઢિયાળ તંત્રએ તેની સામે કાયમ માટે આંખ ખાડા કામ કર્યા હતા. પણ આખરે તાજેતરમાં જ કરજણની એક બાળકીનું જોય ટ્રેનની અડફેટે કરુણ મોત થયા બાદ સેફટી પ્રત્યે અનેક સવાલો ઊભા થયા હતા. પાલિકા તંત્ર આખરે જાગ્યું હતું અને આ ટ્રેનના ટ્રેકની આસપાસ ખુલ્લી જગ્યાએ લોખંડની ગ્રીન લગાવવાનું કામ શરૂ કરાયું છે.
તાજેતરમાં જ જોય ટ્રેનની અડફેટે બાળકીનું મોત નીપજતા તાત્કાલિક ધોરણે જોય ટ્રેન બંધ કરવામાં આવી હતી. હવે બીજો કોઈ આવો કરુણ બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કમાટીબાગ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ બાળકો સાથે ફરવા માટે આવે છે અને આ જોય ટ્રેનમાં લોકો પોતાના બાળકો સાથે કમાટી બાગની સફર કરતા હોય છે ત્યારે આ જોય ટ્રેન જ્યાં જ્યાંથી પસાર થાય છે ત્યાં ખુલ્લી જગ્યાએ તંત્ર દ્વારા ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી કોઈ ગમખ્વાર દુર્ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા આ સુચારું આયોજન કરવામાં આવ્યું છે.